Manish Sisodia : દિલ્હી દારૂ કૌભાંડમાં 16 મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને(Manish Sisodia) આજે મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આખરે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. તેમને 10 લાખના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. સમાચાર છે કે સિસોદિયા આજે સાંજે જ જેલમાંથી મુક્ત થઈ જશે. આ પહેલા મનીષ સિસોદિયાએ દિલ્હી (Delhi) હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સિસોદિયા પર એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો આરોપ છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચ આ આદેશ આપશે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સિસોદિયાના વકીલની દલીલો
સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું કે 17 મહિના વીતી ચૂક્યા છે. આ કેસમાં જે ન્યૂનતમ સજા થઈ શકી હોત તેમાંથી આ લગભગ અડધી છે. તેમણે તપાસ એજન્સીઓના નફાના માર્જિન પરના આરોપોને પણ નકારી કાઢ્યા અને કહ્યું કે કેબિનેટ દ્વારા આ નિર્ણયો તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર સહિત ઘણા અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યા હતા.

તપાસ એજન્સીઓના વકીલે શું કહ્યું?
એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ સોમવારે જણાવ્યું હતું કે નફાના માર્જિનને કારણ વગર મનસ્વી રીતે વધારી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે સિસોદિયા કોઈ નિર્દોષ વ્યક્તિ નથી જેને રાજકીય કારણોસર ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ તેઓ આ કૌભાંડમાં ઊંડે સુધી સંડોવાયેલા છે. તેણે વધુમાં કહ્યું કે તેની સંડોવણીના પુરાવા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ નાયબ મુખ્ય પ્રધાન હતા જેમની પાસે 18 વિભાગો હતા અને તેઓ કેબિનેટના તમામ નિર્ણયો માટે જવાબદાર હતા.