MSME: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે.

છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આજે રાજ્યમાં સૂક્ષ્મ,લધુ અને મધ્યમ ઉદ્યોગમાં પણ લોકો જોડાઇ રહ્યાં છે. વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતમાં 6,29,103 નવા MSME એકમો નોંધાયેલા છે.

તદ્ઉપરાંત રાજ્યમાં IFP portal પર સિંગલ વિન્‍ડો કલીયરન્‍સ સિસ્ટમ દ્વારા વિવિધ વિભાગોની એક જ જગ્યાએથી ઝડપી મંજૂરીઓ મળે છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. યોજના અને બીજી ઔદ્યોગિક નીતિઓ દ્વારા ગુજરાત સરકાર એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય, કેપીટલ સહાય, સી.જી.ટી.એમએસઈ સહાય (જામીનગીરી મુકત લોન), જેવી વિવિધ નાણાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં લો અને ઓર્ડરની સારી સ્થિતિ, સરળ લેન્ડ રૂલ્સ અને  સિંગલ વિન્ડો ક્લીયરન્સ દ્વારા ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ, ગુજરાત રાજયમાં CTEP , GIDC, રોડ, પોર્ટ  જેવી સારી ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતાના કારણો પણ આટલી મોટી સંખ્યામા નોંધણી માટે જવાબદાર કારણો છે.

છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા એમએસએમઇ એકમો 19,63,050ની સામે 4681 એકમો જ રદ થયા છે. જે નોંધાયેલ એકમોના માત્ર 0.24% એકમો છે. રજીસ્ટ્રેશનનું ડુબ્લિકેશન થવાથી નવું ઉદ્યમ મેળવવા જૂના ઉદ્યમને રદ કરવામાં આવે છે.એકમની માલિકીમાં ફેરફાર થવાથી, એકમનાં બંધારણમાં ફેરફાર જેવા કે, પ્રોપરાઇટશીપ માથી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી માથી પ્રાઇવેટ લિમિટેડ કંપની વગેરે એને એમએસએમઇ એકમો માંથી લાર્જ એકમોમાં રૂપાંતર થવાથી જૂના ઉદ્યમને રદ કરવામાં આવ્યા હોવાનું કારણ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.