Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાને લઈને અનેક વખત ચર્ચા થતી રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 159 મુ અંગદાન થયું છે. વિગતો જોઇએ તો છુટક મજુરી કામ કરતા ગામ-ગોળા, પાલનપુર, બનાસકાંઠાના રહેવાસી એવા ૪૫ વર્ષીય કાંતિભાઇ પરમાર ને ૧૪/૦૭/૨૦૨૪ ના રોજ એકટીવા ચલાવી મજુરી કામ કરવા જતી વખતે લાગેણ ગામ અને બામણિયા ગામ વચ્ચે એકટીવા સ્લીપ થઇ જતા માથા નાં ભાગે ગંભીર ઇજા થઇ હતી.

જેથી તેઓને સારવાર અર્થે દાંતા અને ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. કાંતિભાઇ પરમાર અમુક સમય થયા છતાં ઘરે પાછા ન ફરતા તેમના કુંટુબી સભ્યો તેમજ સગા સંબંધીઓએ શોધખોળ કરતાં એક દિવસ બાદ તેઓને ખબર પડતાં વધુ સારવાર અર્થે તા.૧૬/૦૭/૨૦૨૭૪ ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૧૬-૦૭-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ કાંતિભાઇ પરમારને બ્રેઈન ડેડ જાહેર કર્યા. કાંતિભાઇ પરમાર ના પરીવારમાં માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમજ કાંતિભાઇ પોતે અપરણિત હોવાથી તેમના એક ભાઇ સાથે રહેતા હતા. કાંતિભાઈને એક પરિણીત બહેન હોવાથી અચાનક આવી પડેલ આવી દુ:ખની ઘડીમાં જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કાંતિભાઇ પરમારના બહેન તેમજ તેમના જીજાજીને કાંતિભાઇ ના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બહેન તેમજ જીજાજી અને અન્યો પરીવાર નાં સભ્યો એ સર્વ સંમતિ થી કાંતિભાઇ પરમાર નાં અંગો નુ દાન કરવાનો નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે કાંતિભાઇ પરમારના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ ત્રણ લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૯ અંગદાતાઓ થકી કુલ ૫૧૪ અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૯૮ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
ડો. જોષી એ વધું માં વધું લોકો અંગદાન વિશે જાગૃત થઈ પોતાના બ્રેઈન ડેડ સ્વજન નાં અંગો નુ દાન કરવાનો નિર્ણય કરે તેવી હાકલ કરી છે જેથી કોઈ પણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઈલ્યોર થી પીડાતા સ્વજન ને પોતાના અંગો આપવા ન પડે.