ભાવનગર જિલ્લાના વલ્લભીપુર મામલતદાર કચેરીમાં બે યુવાનો પર અજાણ્યા ઈસમોએ હિચકારો હુમલો કર્યો છે. વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે હાલ મુંબઇ રહેતા અને મૂળ પાણવી ગામના મહેશકુમાર મહેતા અને સંજયભાઈ મહેતા નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા મામલતદાર ને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. જે દરમ્યાન એડવોકેટ હરેશભાઈ ડોડીયા અને પપ્પુ ઉર્ફ ડોન પાટણા તેમજ અન્ય બે ઈસમો અચાનક મામલતદાર કચેરી ખાતે આવી બંને ઉપર હિચકારો હુમલો કર્યો હતો.

આ બાબતે મામલતદાર ને પૂછતા તેઓએ રથયાત્રા નિમિત્તે મામલતદાર કચેરીએ ઉપસ્થિત હતા. તે દરમિયાન આ બંને બિઝનેસમેન જમીન બાબતે મળવા આવ્યા હતા જે દરમ્યાન બંને ઈસમો અંદર ધસી આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. તેમજ પ્લાસ્ટિકની ખુરસી ઉપાડી તેના વડે બંને વ્યક્તિ ને મારમારતા નાકના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાબતે પોલીસ મથકે જાણ થતાં તાત્કાલિક પી.એસ.આઇ પી.ડી.ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો.

પોલીસે બે આરોપી હરેશ ડોડીયા, અને પપ્પુ ડોન પાટણા ની ઘટના સ્થળેથી અટકાયત કરી હતી. જે બાબતે વલભીપુર પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.