ઈરાન બાદ હવે Pakistanમાં પણ બુધવારે રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપ આવ્યો. પાકિસ્તાનમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી. ઈરાનમાં ભૂકંપના કારણે ચાર લોકોના મોત થયા છે.

ઈરાન બાદ હવે Pakistanની ધરતી પણ ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગઈ છે. બુધવારે રાજધાની ઇસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા અને લાંબા સમય સુધી ફરી અંદર ગયા ન હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં 98 કિલોમીટરની ઊંડાઈએ હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે Pakistanના ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, સ્વાત, માલાકંદ, ઉત્તર વજીરિસ્તાન, પારાચિનાર, લોઅર ડીર, હંગુ, ચારસદ્દા અને સ્વાબી સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે, કારણ કે દેશ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટની સરહદ પર સ્થિત છે. દક્ષિણ એશિયાનો મોટો ભાગ ધરતીકંપની રીતે સક્રિય છે, કારણ કે ‘ભારતીય ટેકટોનિક પ્લેટ’ ઉત્તર તરફની ‘યુરેશિયન પ્લેટ’ સાથે અથડાય છે.

આ મહિનામાં અનેકવાર આંચકા આવ્યા છે

આ મહિનાની શરૂઆતમાં Pakistanના કરાચીના કેટલાક ભાગોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 2 મેના રોજ ગડપ, કટોહર અને મલીર જિલ્લાના નજીકના વિસ્તારો સહિત પાકિસ્તાનના ઘણા ભાગોમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 13 માર્ચે પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના વિવિધ વિસ્તારોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનમાં 2005માં આવેલા 7.4ની તીવ્રતાના ઘાતક ભૂકંપમાં 74,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આજે જ ઈરાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. તેની તીવ્રતા 4.9 હતી.