લોકસભા ચૂંટણી બાદ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનનો વિજય થયો છે. ત્યારપછીથી દુનિયાભરના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે. પીએમ મોદી ફોન પર, ટ્વિટર પર અથવા અન્ય સત્તાવાર સંદેશાઓ દ્વારા અભિનંદન પ્રાપ્ત કરી રહ્યાં છે. પીએમ મોદી પોતે તેમના ટ્વિટર પર સતત આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે અને ત્યાંના ઘણા રાજ્યોના વડાઓનો પણ આભાર માની રહ્યા છે. એક એવી આશ્ચર્યજનક ઘટના બની કે ચીનને મરચા લાગી ગયા છે. તે પણ તાઈવાનને કારણે ચીન મૂંઝવણમાં મુકાઈ ગયું.

આવું ત્યારે બન્યું જ્યારે દુનિયાભરના અન્ય નેતાઓની જેમ તાઈવાનના રાષ્ટ્રપતિએ પણ મોદીની જીત પર અભિનંદન સંદેશ મોકલ્યો. સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલા આ મેસેજનો આભાર માનતા મોદીએ પણ જવાબ આપ્યો હતો. મોદીએ લખ્યું કે તેઓ તાઈવાન સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પણ ઉત્સુક છે. બસ પછી શું. ચીન ગુસ્સે થઈ ગયું. ભારતને તેમની વન ચાઈના નીતિ સમજાવવાનું શરૂ કર્યું. મામલો વધી ગયો. આ ચર્ચામાં અમેરિકા પણ કૂદી પડ્યું.

હકીકતમાં, ચિંગ તે લાઈ ગયા મહિને જ તાઈવાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું: ચૂંટણીમાં જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા હાર્દિક અભિનંદન. અમે ભારત-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે વેપાર, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તરણ કરવા, ઝડપથી વિકસતી તાઇવાન-ભારત ભાગીદારીને વધારવા માટે આતુર છીએ. મોદીએ આ પોસ્ટનો જવાબ આપ્યો. મોદીએ લખ્યું ચિંગ તે લાઈ, તમારા હાર્દિક સંદેશ માટે આભાર. હું પરસ્પર ફાયદાકારક આર્થિક અને તકનીકી ભાગીદારી તરફ કામ કરતી વખતે વધુ ગાઢ સંબંધોની આશા રાખું છું.

અમેરિકાએ ચર્ચામાં ચીનને સમજાવ્યું.
બીજી તરફ ભારતે આ મામલે બીજી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ અમેરિકાએ ચોક્કસપણે ચીનને સમજાવ્યું. ચીનના વાંધાના પ્રશ્નના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે બે વિદેશી નેતાઓ તરફથી એકબીજાને આવા અભિનંદન સંદેશો આપવો એ રાજદ્વારી શિષ્ટાચારનો એક ભાગ છે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું કહીશ કે આવા અભિનંદન સંદેશાઓ રાજદ્વારી શિષ્ટાચારનો એક ભાગ છે.

ચીને વાંધો ઉઠાવતા શું કહ્યું?
આ પછી ચીને તેના પર વાંધો ઉઠાવ્યો હતો. ચીને એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે ભારતે તાઈવાન સત્તાવાળાઓના “રાજકીય ચાલ”નો વિરોધ કરવો જોઈએ. ચીનના મતે, તાઈવાન તેનો બળવાખોર પરંતુ અભિન્ન પ્રાંત છે અને જો તેનો અર્થ બળનો ઉપયોગ કરવો હોય તો પણ તેને ચીન સાથે એકીકૃત કરવું જોઈએ. આ સંદેશાઓનો જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ચીને આ અંગે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે.