સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા હતા.

જામનગર વનવિભાગની જામનગર રેન્જ દ્વારા સામાજીક વનિકરણ રેંજ કાલાવડ કચેરીને જાણ થયેલ કે કાલાવડની ખંઢેરા બીટના કાર્યક્ષેત્ર હેઠળ હંસ્થળ રેવન્યુ વિસ્તારમાં મળદપીર દરગાહની પાછળ વાળા ભાગમાં સિંહણનો મૃતદેહ જુની બેલા પથ્થર ખાણમાં દાટેલી હાલતમાં જોવા મળેલ હોય અને જે ગેરકાદેસર રીતે નિકાલ કરેલ હોય તેવુ પ્રાથમિક નજરે જણાઇ આવતા સ્થળ પર તત્કાલીક વનવિભાગની ટીમ, એફ.એસ.એલ ટીમ, વેટરનરી ડોક્ટરોની ટીમ પહોંચી જઇ સ્થળ પર ખોદકામ કરીને સિંહણના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે સેમ્પલો એકત્રીત કરવામાં આવેલ હતા.

તપાસમાં અલગ અલગ સ્થળે રેડ કરવામાં આવેલ અને બનાવને સંલગ્ન ઇસમોના નિવેદનો નોંધી વાડીની ફરતે મુકાયેલ ફેન્સીંગમાં વીજ કરંટથી સિંહણના મુત્યુ બાદ તેના મૃતદેહના નિકાલનાં ગુના કેસમાં સંડોવાયેલ ઇસમો સુધી પહોચી કુલ ૦૨ ઇસમો નજરમામદ નોયડા ઉર્ફે નિઝામ અનવર નોયડા ગામ હંસ્થળ અને હુશેન ખાનમામદ નોયડા ગામ હંસ્થળ વિરુદ્ધ કાલાવડ રેન્જ ગુના રજીસ્ટર નંબર ૦૧/૨૦૨૪-૨૫ તા.૧૦/૦૫/૨૦૨૪ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ની કલમ ૨(૧),૨(૧૬), ૨(૧૬)(સી), ૨(૩૩), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨, ૫૫(એ) અને કલમ ૫૭ હેઠળનો ગુનો નોંધાયો હતો.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન કાલાવડને મળેલ સત્તાની રૂએ દાખલ કરેલ. અને તપાસ દરમિયાન સરકારી પંચોની હાજરીમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ ગાડું નંગ-૦૧, મોટર સાયકલ નંગ-૦૧, દાતરડું નંગ-૦૧, પાવડો નંગ-૦૧, તગારા નંગ -૦૨, વાડીની ફરતે ઇલેક્ટ્રીક શોર્ટ માટે ઉપયોગ કરેલ તાર ના બંડલ નંગ-૦૩,લાકડા ની સાઠી-૩૮ નંગ,મોબાઇલ નંગ-૦૨ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી આરોપીઓને કાલાવાડ ખાતે જ્યુડીશીયલ ફર્સ્ટક્લાસ જજની કોર્ટમાં તા.૧૧.૦૫.૨૦૨૪ ના રોજ રજૂ કરી તેના રીમાન્ડ મેળવેલ જે રીમાન્ડ દરમીયાન આરોપીઓ પાસે સરકારી પંચો રૂબરૂ ઘટનાક્રમનું રીકન્ટ્રક્શન કરાવવામાં આવેલ. સિહણનો મૃતદેહ ગાડામાં લઇ મળદપીર દરગાહ પાછળ વાળા જુની બેલા પથ્થર ખાણ ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું તેમજ જીપીએસ ટ્રેકિંગવાળો સિહણના ગળાનો કોલર તેના મૃતદેહથી અંદાજીત પાંચ કી.મી. દુર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

આરોપીઓનાં રીમાન્ડ પુરા થતા કાલાવાડની નામદાર કોર્ટમાં બન્નેને તા.૧૩.૦૫.૨૦૨૪ ના રોજ ફરી રજૂ કર્યા હતા.જ્યા તેઓની કોર્ટ સમક્ષ જામીન અરજી મુકાઇ હતી જે નામંજુર થતાં બંન્નેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા હતાં.

સિંહણના શિકારમાં અન્ય કોઇ આરોપીઓ આ ગુનામાં સંકળાયેલા હોય તો તેવા આરોપીઓને પકડવા પણ વન તંત્ર દ્વારા આગળની તપાસ ચલાવાઈ રહી છે.