સુરેન્દ્રનગરથી અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં 3 મહિનાની બાળકીને ભૂવાએ ડામ આપતા બાળકીની તબીયત લથડતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા એ ડીવીઝનને પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બાળકીનાં પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકી બિમાર હતી. જે બાદ તેની પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હતી. જે બાદ પણ બાળકીની તબીયતમાં કોઈ સુધારો થવા પામ્યો ન હતો. જે બાદ બાળકીને ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવા દ્વારા બાળકીનાં શરીર પર ડામ આપવામાં આવ્યા હતા. જેથી બાળકીએ ચીસા ચીસ કરી મૂકી હતી. ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

બાળકીને ડામ આપવાનાં કારણે બાળકીની તબીયત વધુ લથડતા બાળકીનાં માતા-પિતા તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકીની હાલત વધુ ગંભીર જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.