સંજીદા શેખ ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે અને આ દિવસોમાં તે વેબ સીરિઝ ‘હીરામંડી’ના કારણે ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલીની આ સિરીઝમાં સંજીદાને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સંજીદા સિંગલ મધર છે અને તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે સંજીદા તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ તેના એક્સ પતિ આમિર અલીથી છૂટાછેડા લીધા છે અને એમની એક પુત્રી પણ છે, જેનો તે એકલાહાથે ઉછેર કરી રહી છે. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, સંજીદાએ તેની સિંગલ મધર બનવાની સફર વિશે વાત કરી છે. અહેવાલ મુજબ, સંજીદાએ કહ્યું- મારી પુત્રી મારી તાકાત છે. તેણીએ મને જીવનમાં એવા પગલા ભરવાની હિંમત આપી છે, જેના વિશે કદાચ હું વિચારી પણ ન શકું. મને લાગે છે કે હવે હું પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ છું.

અભિનેત્રીએ આગળ કહ્યું- મેં હવે મારી ખામીઓ સ્વીકારી લીધી છે અને મારી જાતને પ્રેમ કરવા લાગી છે. મેં મારી દીકરીને પહેલી વાર જોઈ ત્યારે કહ્યું – આ નાની સંજીદા આવી છે. મારું જીવન તેની આસપાસ ફરે છે. મારી પુત્રી મારા ભાઈને તેના પિતા કહે છે.જણાવી દઈએ કે સંજીદા શેખે વર્ષ 2012માં અભિનેતા આમિર અલી સાથે લગ્ન કર્યા હતા. બંને ટીવીના પાવર કપલ હતા, પરંતુ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. આમિર-સંજીદાએ લગ્નના 9 વર્ષ બાદ 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી, બંને સત્તાવાર રીતે 2022 માં અલગ થઈ ગયા. બંને હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે.