સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર એક વાલી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વિગતો મુજબ, સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર બળજબરીપૂર્વક સગીરને સાધુ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરના કાકા અને પિતાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓ તરફથી સગીરને છીનવી લેવાયાનો આરોપ લગાવ્યો હતો.

પરિવારજનોએ પોતાનો પુત્ર 14 એપ્રિલ 2024ના ગુમ થયાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સગીર નાના વરાછાની તપોવન સ્કૂલમા અભ્યાસ કરતો હતો ત્યારબાદ પુત્રનું બ્રેઈનવોશ કરી છીનવી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રથમ ગઢડા બાદમાં ખોપાળા અને બાબરા લઈ જઈ હવે સુરત લવાયાનો આરોપ લગાવ્યો હતો. પરિવારજનો હાલ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સગીરને બળજબરીપૂર્વક સાધુ બનાવવામાં આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને અભ્યાસના બદલે સાધુ બનાવી દીધો છે. 14 એપ્રિલએ સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સગીરનો પરિવાર એક વર્ષ અગાઉ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. સગીરને હાર તિલક કરી સાધુ બનાવી દીધાનો આરોપ લગાવ્યો હતો. પુત્રને પરત આપવાની સગીરના પિતાએ માંગ કરી હતી. સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ ગીરગઢડાના સમઢિયાળામાં ગુરૂકુળ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. બાળકના પિતાએ ગુરૂકુળના જનાર્દન સ્વામી પર બ્રેઇન વોશ કર્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે જનાર્દન સ્વામીએ બ્રેઈન વોશની વાતને નકારી કાઢી હતી. જનાર્દન સ્વામીએ કહ્યું કે સાધુ બનવા પણ 10 વર્ષનો સમય જોઇએ છે. માતા-પિતાની મરજી વિના સાધુ બનાવતા નથી. બાળકનો પરિવારજનો સાથે સમાધાન થયાનો સ્વામીએ દાવો કર્યો હતો.ગીર સોમનાથના ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા બ્રેઇન વોશ કર્યાન આરોપ બાળકના પિતાએ લગાવ્યો હતો. બાળકના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8 થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે જે હાલ ધોરણ 10માં છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીએ તેમના દીકરાને સાધુ બનાવવા બ્રેઇન વોશ કર્યો હતો. તે ઘરે આવવાની ના પાડે છે.