Gujarat News: ગુજરાતના રહેવાસી અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાલનપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા મનીષ બ્રહ્મભટ્ટ હાલમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)માં ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. ગુરુવારે તેમણે અભિજીત દિપકને પડકાર આપતાં ‘કોકરોચ જનતા પાર્ટી-ડેમોક્રેટિક’ (CJP-D) નામના નવા સંગઠનની જાહેરાત કરી છે.

મનીષ બ્રહ્મભટ્ટનો આરોપ છે કે CJPના આંદોલનને મજબૂત બનાવનારા પાયાના કાર્યકરો અને સ્વયંસેવકોને સંગઠનના ભવિષ્ય અંગેના નિર્ણયો લેવામાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. આ મુદ્દે તેમણે અભિજીત દિપક સામે ખુલ્લેઆમ ઝુંબેશ શરૂ કરી છે.

2022માં પાલનપુરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી

મનીષ બ્રહ્મભટ્ટની રાજકીય સફર નવી નથી. તેમણે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાલનપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમને 964 મત મળ્યા હતા અને તેઓ પાંચમા ક્રમે રહ્યા હતા.

ચૂંટણી સોગંદનામા મુજબ, તે સમયે બ્રહ્મભટ્ટની ઉંમર 37 વર્ષ હતી અને તેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને LLBનો અભ્યાસ કર્યો હતો. સોગંદનામામાં તેમણે આશરે ₹44.42 લાખની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે કોઈ જવાબદારી દર્શાવી નહોતી.

મનીષ સામે ચાર પેન્ડિંગ કેસનો ઉલ્લેખ

ચૂંટણી સોગંદનામામાં બ્રહ્મભટ્ટ સામે ચાર પેન્ડિંગ ફોજદારી કેસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ગંભીર ઈજા પહોંચાડવી, જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા નિવેદનો, રમખાણો માટે ઉશ્કેરણી અને બદનક્ષીભરી સામગ્રીના પ્રકાશન તથા વેચાણ સહિતના આરોપો સંબંધિત કલમોનો સમાવેશ થતો હતો.

જંતર-મંતરના આંદોલનથી CJP સાથે જોડાયા

બ્રહ્મભટ્ટ CJPના વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના આંદોલન સાથે જોડાયા હતા અને જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં સક્રિય રહ્યા હતા. તેમનો દાવો છે કે શરૂઆતમાં આ આંદોલન કોઈ એક નેતાને બદલે મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો દ્વારા આગળ વધારવામાં આવ્યું હતું.

ઓગસ્ટમાં તેઓ ગુજરાતથી છત્રપતિ સંભાજીનગર પહોંચ્યા હતા, જ્યાં અભિજીત દિપક કોર ટીમની બેઠક કરી રહ્યા હતા. બ્રહ્મભટ્ટ અને અન્ય કાર્યકર રાહુલ પંડ્યાએ દિપકના ઘરની બહાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમણે આક્ષેપ કર્યો હતો કે આંદોલનને જમીન પર મજબૂત બનાવનારા કાર્યકરોને સંગઠનના ભવિષ્યના નિર્ણયો માટે સાથે લેવામાં આવી રહ્યા નથી.

‘450 સંયોજકોમાંથી કોઈને પૂરતું પ્રતિનિધિત્વ નહીં’

બ્રહ્મભટ્ટનો દાવો છે કે જંતર-મંતરના આંદોલનમાં આશરે 450 સંયોજકો સામેલ હતા, પરંતુ નવા રાષ્ટ્રીય નેતૃત્વમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી.

ઓગસ્ટમાં CJPના રાષ્ટ્રીય નેતૃત્વની જાહેરાત થયા બાદ વિવાદ વધુ વકર્યો હતો. અભિજીત દિપકને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા, જ્યારે સૌરવ દાસ અને આશુતોષ રંકાને સહ-સંયોજકની જવાબદારી આપવામાં આવી હતી.

‘આંદોલનનું રાજકીયકરણ કરવામાં આવ્યું’

મનીષ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો છે કે મૂળ આંદોલન દેશવ્યાપી હતું અને તેની સફળતામાં સામાન્ય લોકો તથા સ્વયંસેવકોની મહત્વની ભૂમિકા હતી. તેમના મતે, સફળતા બાદ આંદોલનનું રાજકીયકરણ કરવામાં આવ્યું.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે CJP હવે ‘ટીમ કેજરીવાલ’ બની ગઈ છે. બ્રહ્મભટ્ટના દાવા મુજબ, સ્વયંસેવકોની સલાહ લીધા વિના 12 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને તેમાંના કેટલાક સભ્યો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.

હવે CJP-Dના માધ્યમથી પડકાર

આ તમામ વિવાદ વચ્ચે મનીષ બ્રહ્મભટ્ટે ગુરુવારે CJP-Dની જાહેરાત કરીને CJPના વર્તમાન નેતૃત્વ સામે સીધો પડકાર ફેંક્યો છે. હવે આગામી સમયમાં બંને જૂથો વચ્ચેનો આ આંતરિક વિવાદ કઈ દિશામાં જાય છે અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો કોની સાથે રહે છે, તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.