Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગઈકાલે રાત્રે બાર વાગ્યે પ્રધાનમંત્રીજીએ એક વીડિયો જાહેર કરીને સમગ્ર દેશને કહ્યું કે પેપર લીક કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા સોમવારે સંસદમાં કાયદો લાવવામાં આવશે. પ્રધાનમંત્રીજીની આ ખાતરી કેટલી પોલાણવાળી અને કેટલી જૂઠી છે, તે ગઈકાલે જ સાબિત થઈ ગયું. 2024માં નીટ (NEET)નું પેપર લીક થયું હતું, તે સમયે તેમણે કહ્યું હતું કે સંજીવ મુખિયા નામનો વ્યક્તિ આનો માસ્ટરમાઇન્ડ છે. સરકારે પોતે ભારે તામઝામ સાથે તેની ધરપકડ કરી હતી. પરંતુ અટકાયતના ત્રણ મહિનાની અંદર જ સરકારે તેને જામીન અપાવી દીધા અને તે જેલમાંથી બહાર આવી ગયો. તેના પર કેસ ચાલવા લાગ્યો, અને ગઈકાલે તમને વિશ્વાસ નહીં થાય કે બપોરે દોઢ વાગ્યે પીટીઆઈ (PTI)ના સમાચાર આવ્યા કે સીબીઆઈ (CBI)એ કોર્ટમાં કહ્યું છે કે સંજીવ મુખિયા નિર્દોષ છે! સીબીઆઈએ કહ્યું કે સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી અને તેને છોડી દેવામાં આવે. તો જો સીબીઆઈના મતે સંજીવ મુખિયા માસ્ટરમાઇન્ડ નથી, તો પછી માસ્ટરમાઇન્ડ કોણ છે? CBIએ માસ્ટરમાઇન્ડનું નામ ન બતાવ્યું. આનો અર્થ એ થયો કે ૨૦૨૪માં જે પેપર લીક થયું, તે કોઈએ લીક જ નહોતું કર્યું! શું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને આ રીતે કામ કરશો? ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે પ્રધાનમંત્રીજીએ ટ્વીટ કરીને પણ કહ્યું હતું કે હું ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીશ, અને માત્ર ગણતરીના કલાકો પછી જ મીડિયામાં સમાચાર આવ્યા કે સીબીઆઈએ મુખ્ય માસ્ટરમાઇન્ડને છોડી દીધો.

Arvind Kejriwalએ વધુમાં જણાવ્યું હતુ કે જો તમારી સીબીઆઈ કોર્ટમાં પુરાવા જ રજૂ નહીં કરે, તો પ્રધાનમંત્રીજી આ ફાસ્ટ ટ્રેક કોર્ટોનું શું મહત્વ રહે છે? તમે પેપર લીક માફિયાઓને કેમ બચાવવા માંગો છો? તમે દેશને આ પ્રકારની જૂઠી અને પોલાણવાળી ખાતરીઓ શા માટે આપી રહ્યા છો? આખા દેશનો યુવા પીડિત છે, બાળકોએ આત્મહત્યાઓ કરી લીધી છે અને તમે આવા ખોટા વચનો આપી રહ્યા છો. આવતા વર્ષે નીટનું પેપર લીક ન થાય તે માટે તમે શું પગલાં લીધાં? કોઈ પગલાં નથી લીધાં. આ વખતે પેપર લીક થયું, કેટલાય બાળકોએ આત્મહત્યા કરી અને આગામી વખતે ફરી પેપર લીક થશે. તમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવતા ફરી રહ્યા છો, પણ આ ફાસ્ટ ટ્રેક કોર્ટોથી શું થશે? ફાસ્ટ ટ્રેક કોર્ટો તો અત્યારે પણ પોક્સો (POCSO) અને રેપ કેસ માટે ઘણી બનેલી છે, છતાં તેમાં વર્ષોના વર્ષો નીકળી જાય છે. જો તમારે પેપર લીક માફિયાના માસ્ટરમાઇન્ડ્સને છોડાવવા જ હોય, જો તમારે પુરાવા જ એકઠા ન કરવા હોય, જો તમારે તપાસ જ ન કરવી હોય અને તેમને જામીન અપાવીને જેલમાંથી છોડાવવા જ હોય, તો ફાસ્ટ ટ્રેક કોર્ટ શું કરશે? પ્રધાનમંત્રીજી, તમારી દાનતમાં જ ખોટ છે.