Kheda: ૨૭ જૂનના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે કામદારો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સમયે ફેક્ટરીમાં ૧૩ થી ૧૪ કામદારો હાજર હતા. દાહોદના રહેવાસી સુનિતાબેન અને દેવાંગભાઈ પરમાર વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ દેવાંગભાઈ પરમારનું મૃત્યુ થયું હતું.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરી સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
મામલતદારની ફરિયાદના આધારે, કપડવંજ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૦, ૨૮૭ અને ૨૮૮ અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમ, ૧૯૮૪ ની કલમ ૯(બી) હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. FSL સહિતની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે. સાથે જ મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મિતુલ પટેલ હાલમાં ફરાર છે. પોલીસે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



