Ahmedabad fire: અમદાવાદની બહાર સાંતેજ-વડસર રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં આજે સવારે (૧૬ મે) ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની ગંભીરતાને જોતાં, ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

હાઇ-ટેક ઇલાસ્ટોમર્સ કંપનીમાં આગ

અહેવાલો અનુસાર, સાંતેજ-વડસર રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. કંપનીમાં રસાયણો અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે, આગ ઝડપથી વધી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.

ફાયર ફાઇટરનો મોરચો

ઘટનાની ગંભીરતાને જોતાં, ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ વહેલી સવારે ચારે બાજુથી પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.

જાનહાનિ તપાસ

આગનું કારણ (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી) હજુ સુધી સત્તાવાર રીતે નક્કી થયું નથી. આ ઘટના વહેલી સવારે બની હોવાથી, અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ અંદર ફસાયું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. અગ્નિશામકો હાલમાં આગ વધુ ફેલાતી અટકાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે.