Amit Chavda News:આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓની વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સમગ્ર રાજ્યમાં પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને મેદાનમાં ઉતરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ કમિટીઓની રચના કરીને ચૂંટણી માટે સચોટ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનીફેસ્ટો કમીટી, મીડિયા કમીટી તથા પબ્લિસિટી કમિટી સહિત તમામ કમિટીઓ સંગઠિત રીતે કાર્ય કરી રહી છે અને આજની બેઠકોમાં દરેક કમિટીના કાર્ય અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. મહાનગરોમાં QR કોડના માધ્યમથી અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જાહેર જીવનમાં કાર્યરત, પ્રજાના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો સીધી રીતે અરજી કરી શકે. સાથે સાથે સંગઠનના માધ્યમથી દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
છેલ્લા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વ્યાપક કાર્યક્રમો હાથ ધર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત થાય તે સાથે જ ઉમેદવારોની અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક બ્રિજ તૂટી પડવાના બનાવો બન્યા છે તો ક્યાંક પાણીની ટાંકીમાં ખામીઓ સામે આવી છે અને વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો નોંધાયા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે, ગેસ સિલિન્ડર માટે લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યની કોલેજોમાં ડ્રગ્સની સમસ્યા ચિંતાજનક બની રહી હોવાનું પણ જણાવાયું હતું.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જનાક્રોશ યાત્રા અને કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 50 દિવસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન પ્રજામાં રાજ્ય સરકાર સામે ઊભી થયેલી નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગેનો અસંતોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કોંગ્રેસની તરફેણમાં મોટી સકારાત્મક અસર જોવા મળશે.
કોંગ્રેસની ઉપસ્થિત કમિટીના સભ્યોએ સંયુક્ત રીતે સંકલ્પ કરતા જણાવ્યું હતું કે સર્વે આગેવાનો, કાર્યકરો પ્રજાના સમર્થન સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.





