Praveen Ram AAP: આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા” અંતર્ગત ચરાડવા, સુરેન્દ્રનગર અને ચોટીલા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી તથા AAP નેતા રમેશ મેર સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો જોડાયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવીને અને તેમના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને ઘેલા સોમનાથના દર્શન કરીને આ યાત્રાનું પહેલું ચરણ પૂરું કરવામાં આવ્યું હતું. આજથી બીજા ચરણની શરૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોના અનેક પ્રશ્નો મુદ્દે અમે વર્ષોથી લડી રહ્યા છીએ. પરંતુ અમે ખેડૂતોના મુદ્દે લડત લડીએ તો અમને જેલમાં નાખવામાં આવે છે. અમે કડદો બંધ કરાવવા માટે અવાજ ઉઠાવ્યો અને કડદો બંધ કરવાની જગ્યાએ અમને બધાને ઉઠાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા. આટલું ઓછું હોય તેમ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા. આ વિસ્તારમાં ખેડૂતો કપાસ ઉગાડે છે અને કપાસનું જે CCI બોર્ડ એ પહેલા પાકને ખરીદતું નથી પરંતુ ભાજપના મળતીયાઓ પહેલા કપાસ 1200-1300માં ખરીદે છે. અને થોડા મહિના બાદ એમાં 300-400 રૂપિયાનો વધારો કરીને બીજી કોઈ મહેનત કર્યા વગર કપાસ સીસીઆઇ બોર્ડને વેચી દે છે. હકીકતમાં આ એક મોટું કૌભાંડ છે. આ વિસ્તારમાં હાઈટેન્શન લાઇન, ગટર વ્યવસ્થા સહિત અનેક પ્રશ્નો છે પરંતુ એમાં બીજેપીને રસ નથી. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ ભાજપના લોકોએ આપ્યા પરંતુ આજે ખેડૂતોની આવક બમણી થઈ નહીં પરંતુ ભાજપના લોકોને આવક 20 ગણી થઈ ગઈ.