CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.

આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળીનું આ પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય. વૈદિક હોળી પ્રગટાવીને અહીં પર્યાવરણ પ્રત્યે જે જાગૃતિ દર્શાવવામાં આવી છે તે પ્રશંસનીય છે.

હોળી દર્શન બાદ મુખ્યમંત્રીએ પ્રખ્યાત માનવમંદિરની મુલાકાત લઈને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત ભાવિક ભક્તો અને સ્થાનિક નગરજનો સાથે પર્વની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાત સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, AMTSના ચેરમેન ધરમશીભાઈ દેસાઈ અને કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા