CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે.

CM Bhupendra Patelએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

CM Bhupendra Patelએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રીઓ ઋષિકેશ ભાઈ પટેલ તથા કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના ૨૬૦ થી વધુ સરપંચોઓ સહભાગી થયા હતા. ગામડાઓને ભારતનો આત્મા કહેવામાં આવ્યા છે તેની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગામના બધા જ લોકો એક સાથે વિકાસ કામોમાં જોડાય તો ગામનો વિકાસ દિપી ઉઠે.

સરપંચ તરીકે મળેલી સેવાની તકને પોતાની ધગશ અને ગામના વિકાસ માટે કઈંક વધુ સારૂ કરવાની ખેવનાથી વિકાસ કામોની આયોજનબદ્ધ રીતે યાદી બનાવીને વડાપ્રધાનએ આપેલા સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો ઉપયોગ થાય તેની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, સરપંચોની પ્રાથમિક જવાબદારી ગામના છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાની છે. જ્યારે ગામડાંનો વિકાસ થશે, ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે.

મુખ્યમંત્રીએ ગામના જાહેરહિતના કામોની ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવતાં ઉમેર્યુ કે, ગામના વિકાસના કામો અને ભવિષ્યના આયોજનમાં વધુ યુવાનોને જોડીને ટેક્નોલોજીના ઉપયોગથી નાગરીકો સુધી સેવા-સુવિધાઓ પહોંચાડવાનું દાયિત્વ સરપંચોના શિરે છે.

કોઈપણ મુશ્કેલીના સમયે સરકાર હંમેશા તેમની પડખે છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સરપંચોને ચિંતામુક્ત થઈ નિષ્ઠાપૂર્વક પ્રજાની સેવાના કાર્યો દ્વારા સૌને સાથે લઈને વિકસિત ગ્રામથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’માં ઉપસ્થિત રાજ્યના કર્મઠ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ‘ગ્રામ સચિવાલય’નો મંત્ર ગામડાઓના વિકાસને નવી દિશા આપનારો છે. આ મંત્રને ગ્રામીણ સ્તરે સાકાર કરવાની અને ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી આપ સૌ સરપંચોની છે.

અધ્યક્ષએ મુખ્યમંત્રીના સફળ નેતૃત્વ વિશે જણાવ્યું કે, મુખ્યમંત્રીની પરિકલ્પનાથી જ આજનો તાલીમ કાર્યક્રમ સાકાર થયો છે. રાજ્યના શહેરો જેવી આધુનિક સુવિધાઓ ગામના નાગરીકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

સરપંચોને પ્રેરણા આપતા અધ્યક્ષએ ઉમેર્યું હતું કે, વિકાસ માત્ર ઈંટો અને સિમેન્ટના બાંધકામથી નથી આવતો, તે ‘સંવાદ’થી આવે છે. ઘણીવાર ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચે સંવાદના અભાવે ઘર્ષણ થતું હોય છે. જો ગામના નાનામાં નાના કામમાં ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવે અને તેમની સાથે સંવાદ વધારવામાં આવે, તો સંઘર્ષ આપોઆપ ઘટશે અને લોકભાગીદારીથી ગામનો સાચો વિકાસ થશે.

પંચાયતી રાજના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, પંચાયત અધિનિયમમાં દર્શાવેલા હક અને ફરજોને સમજીને ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરવું એ જ સાચી લોકસેવા છે. લોકશાહી પ્રણાલીમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી વૈચારિક મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ ગામ હિતને સર્વોપરી રાખીને વિરોધ પક્ષની સારી બાબતોને પણ સંવાદ દ્વારા સ્વીકારવી જોઈએ.

પંચાયત એ લોકશાહીનો પાયો છે. જો આ પાયો મજબૂત હશે તો જ વડાપ્રધાનનું ‘વિકસિત ભારત’નું સપનું સાકાર થશે. સૌ સરપંચોને ગામડાંઓને આત્મનિર્ભર અને આધુનિક બનાવી ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સહભાગી બનવા અધ્યક્ષએ આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગામડાના નાગરિકોને શહેરની કલ્પના સાથે જોડવા તેમજ શહેર જેવી સુવિધાઓ ગામમાં આપી એક ‘આદર્શ’ ગામ બનાવવાનું ભગીરથ કાર્ય આપ સૌ સરપંચોએ કરવાનું છે.આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગામ વિકાસના હિતમાં ૭૦ ટકા નાણા પંચની ગ્રાન્ટ વાપરવાનો અધિકાર સરપંચને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી સરપંચ અને ગામજનો સાથે મળીને વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવી શહેરોની સમકક્ષ ગામડાઓમાં સુવિધાઓ આપી શકે. ગામના સરપંચ ગામના નાગરિકો સાથે મળીને નક્કી કરી શકે, ગામમાં ક્યાં રસ્તા બનાવવાના છે, ક્યાં પાણીની સગવડ આપવાની બાકી છે, ક્યાં લાઈટ, ક્યાં ગટરની સગવડ બાકી છે તે તમામ સુવિધાઓ ગામના હિતોને ધ્યાનમાં રાખીને સરપંચ આપી શકે છે.

વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાતના તમામ ગામોને ઓછામાં ઓછા બે માર્ગથી ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત જોડવામાં આવ્યા છે. આજે યોજાનાર ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આપ સૌને ગામના વહીવટી શિક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. ગામમાં સરપંચનું પદ એ મુખ્ય હોય છે, તેથી આપ સૌ સરપંચોને વિનંતી છે કે, રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ ગામના વૃદ્ધો-વિધવા મહિલાઓ, ગામના જે નાગરિકોને સરકારી સહાય લેવાની બાકી હોય તેવા નાગરિકોને સેવાનો લાભ અપાવવાની જવાબદારી આપ સૌ સરપંચોની છે.

આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના નિર્ણયોના પરિણામે ગામડાઓમાં શહેર સમકક્ષ સુવિધાઓ મળી રહી છે. ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ ગામના દરેક વ્યક્તિ સુધી પહોચાડવા માટે સીધા પૈસા ગ્રામ પંચાયતના ખાતામાં આપવામાં આવે છે. આ પૈસાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી ગામને ગોકુળીયું ગામ વિકસિત ગામ બનાવી શકાશે.

મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧.૨૦ લાખ મળતા હતા, એમાં મુખ્યમંત્રીએ રૂ.૫૦ હજારનો વધારો કર્યો છે એટલે કે આગામી દિવસોમાં ગામના નાગરિકોને પોતાનું ઘર બનાવવાં માટે રૂ. ૧.૭૦ લાખ સુધીની સહાય મળશે. આ ઉપરાંત નાગરિકોને મનરેગા યોજનામાંથી શૌચાલયની સુવિધા માટે રૂ. ૫ હજારની સહાય આપવામાં આવે છે. આમ ગામના દરેક નાગરિકને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળે તેમજ લોકઉપયોગી યોજનાઓનો લાભ ગામના નાગરિક સુધી પહોચાડવા સરપંચને મંત્રીએ અનુરોધ કર્યો હતો.

વિધાનસભા સચિવ ચેતન પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ આભારવિધી કરી હતી.આ તાલીમ કાર્યક્રમ દરમિયાન સરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી-રામજી (G-RAMJI) ગ્રામવિકાસ યોજના, પંચાયત હિસાબી નિયમો અને ગ્રામસભામાં સરપંચના અધિકારો અને ફરજો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિકાસ કમિશનર હિતેશ કોયા, વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા, નાયબ વિકાસ અધિકારીઓ તેમજ સરપંચઓ ઉપસ્થિત રહ્યાં હતા.