PM Modi inaugurates Vibrant Gujarat Regional Conference: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૦ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.
PM Modiએ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે. શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું UPI દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, ‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ (Fitch) જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે, આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે.
PM Modiએ આ તકે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ”વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરતી એ શીખવ્યું છે કે, પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, જો ઈમાનદારી અને મહેનતથી મક્કમ રહીએ તો સફળતા જરૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પરિશ્રમથી તેમનું ભાગ્ય બદલ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.
મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ ‘કોમર્શિયલ સ્કેલ રિયાલિટી’ સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજનના સામર્થ્યથી સૌ પરિચિત છે અને ભારતમાં આ દિશામાં અભૂતપૂર્વ ઝડપી સ્કેલ પર કામ થઈ રહ્યું છે, જેમાં કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહેલી વિશાળ ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ (BESS) દ્વારા રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, આ પ્રદેશ વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે, જ્યાંથી ભારતની નિકાસનો મોટો હિસ્સો પસાર થાય છે. પિપાવાવ અને મુંદ્રા જેવા બંદરો આજે ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ બની ચૂક્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉદ્યોગો માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસની આંતરરાષ્ટ્રીય ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની ‘કોશલ્ય સ્કીલ યુનિવર્સિટી’ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓના સહયોગમાં યુવાનોને ફ્યુચર-રેડી સ્કીલ્સ માટે તૈયાર કરી રહી છે. આ ઉપરાંત, દેશની પ્રથમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા રોડ, રેલવે, એરવેઝ, વોટરવેઝ અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની બે અગ્રણી યુનિવર્સિટીઓએ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કર્યા છે, જે દર્શાવે છે કે અહીં રોકાણની સાથે ટેલેન્ટ પાઈપલાઈન પણ સુનિશ્ચિત છે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર વિશે વાત કરતા વડાપ્રધાએ જણાવ્યું કે અહીં નેચર, એડવેન્ચર, કલ્ચર અને હેરિટેજનું અદભૂત મિશ્રણ છે. લોથલમાં બની રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતની સાડા ચાર હજાર વર્ષ જૂની દરિયાઈ વિરાસતનું પ્રતીક છે. કચ્છનું રણોત્સવ અને ત્યાંની ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. વન્યજીવ પ્રેમીઓ માટે ગીર ફોરેસ્ટમાં એશિયાટિક સિંહના દર્શનનો અનેરો અનુભવ છે, જ્યાં વર્ષે ૯ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ શિવરાજપુર બીચ ઉપરાંત માંડવી, સોમનાથ અને દ્વારકામાં બીચ ટુરિઝમની ઘણી શક્યતાઓ છે, જ્યારે દીવ વોટર સ્પોર્ટ્સ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
વડાપ્રધાનએ સૌરાષ્ટ્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કરવામાં આવતું દરેક રોકાણ ગુજરાત અને સમગ્ર દેશના વિકાસને નવી ગતિ આપશે. તેમણે રવાંડાના હાઈ કમિશનરની વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત દ્વારા રવાંડાને ભેટમાં આપવામાં આવેલી ૨૦૦ ગીર ગાયોએ ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક મોટી તાકાત આપી છે. આજે રવાંડાના હજારો પરિવારો પાસે ગીર ગાયો છે અને ત્યાંના દરેક ઘરમાં તે જોવા મળે છે.
વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રમાં ‘નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ’ લાવવામાં આવ્યા છે. તાજેતરમાં અમલી બનેલા જીએસટી સુધારાઓથી ખાસ કરીને MSMEને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ૧૦૦ ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે, જેથી દેશના દરેક નાગરિકને વીમા કવરેજ મળી શકે. સરકારે છ દાયકા જૂના ઇનકમ ટેક્સ કાયદાને આધુનિક બનાવ્યો છે અને ઐતિહાસિક લેબર કોડ લાગુ કરીને શ્રમિકો તેમજ ઉદ્યોગો બંને માટે એક સમાન માળખું તૈયાર કર્યું છે.
ભારત આજે ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ અને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વધતી જતી પાવર ડિમાન્ડને પહોંચી વળવા માટે ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને સિવિલ ન્યુક્લિયર એનર્જીને ખાનગી ભાગીદારી માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે રોકાણકારો માટે એક મોટી તક છે.
વડાપ્રધાને રોકાણકારોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર MoU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈ-પાઈ અહીંથી શાનદાર વળતર આપશે. વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.





