સુરત: ગોડાદરાના 52 વર્ષીય કપડા વેપારી રાજેશ રાઠીએ 26 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં ધરપકડના ડરે ભટારમાં મિત્રના ઘરે આત્મદાહ કરી લીધો. રાજેશભાઈ ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક, દેવધગામ રોડ પર આવેલી સન્ડે લોગોન સોસાયટીમાં રહેતા હતા અને શ્રી ગણેશ ફેબ્રિક્સ નામની કપડાની દુકાન ચલાવતા હતા.

સૂત્રો અનુસાર, પાંચ દિવસ પહેલાં સરથાણાના મેઘમલ્હાર વિસ્તારના વેપારી દિલીપ કાથરોટિયાએ રાજેશભાઈ રાઠી સહિત ચાર અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ઉધારમાં આપેલા કપડાની સપ્લાય બાદ 26 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે રાજેશભાઈની શોધખોળ શરૂ કરી હતી.
ધરપકડથી બચવા રાજેશભાઈ ભટારના તડકેશ્વર મારવાડી મોહલ્લામાં મિત્રના ઘરે ગયા હતા, જ્યાં તેમણે શરીર પર જ્વલનશીલ પદાર્થ રેડીને આત્મદાહ કર્યો. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસનો અંદાજ છે કે રાજેશભાઈએ ધરપકડના ડર ઉપરાંત દેવાના બોજને કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હશે. ખટોદરા પોલીસે આ ઘટનાને આકસ્મિક મોત તરીકે નોંધી તપાસ હાથ ધરી છે.





