Rajkot: રાજકોટના વોર્ડ નંબર 13માં આવેલા સ્વામિનારાયણ ચોક ખાતે રસ્તાના સમારકામના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામનો ગંભીર આરોપ લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરએ આક્ષેપ કર્યો છે કે નવા બનેલા રસ્તા પર મેટલનું કામ યોગ્ય રીતે ન થતાં એક મેટાડોર વાહન અચાનક અંદર ખૂંપી ગયું હતું. આ ઘટનાએ તંત્રની કામગીરી અને દેખરેખ પર સવાલો ઊભા કર્યા છે.
શું હતી ઘટના?
સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ખાડા પડેલા રસ્તા પર તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ (થીગડા) કરીને રોડ સરખો કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ કામમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હતો.
આ દરમિયાન નવા બનેલા રોડ પરથી પસાર થતી એક મેટાડોર અચાનક રોડની અંદર ધસી ગઈ હતી. આ ઘટના બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે રોડ પર માત્ર પાતળું ડામરનું પડ પાથરવામાં આવ્યું હતું અને નીચે મેટલનું કામ જ કરવામાં આવ્યું ન હતું.
સ્થાનિકોમાં રોષ
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે, શાસકો માત્ર દેખાડાખાતર કામ કરે છે અને નાગરિકોના ટેક્સના પૈસાનો ખુલ્લો દુરુપયોગ કરે છે.
હલકી ગુણવત્તાના આ કામોના કારણે ભવિષ્યમાં મોટા અકસ્માત સર્જાય તેવી શક્યતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. “રોડ પર ચાલતા નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા સાથે તંત્ર રમખાણ કરે છે,” એમ સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે.
તપાસની માગ
આ મામલે તંત્ર સામે સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સ્થાનિકોની સ્પષ્ટ માગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની તપાસ કરી, યોગ્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને.
આ પણ વાંચો
- National: સ્વામી ચૈતન્યાનંદ પર 17 છોકરીઓને યૌન શોષણનો આરોપ, તેની વોટ્સએપ ચેટ્સ સામે આવી
- National: દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 78 દિવસનો બોનસ
- Gandhinagar: અડાલજ લૂંટ-મર્ડર કેસના મુખ્ય આરોપી “સાયકો કિલર” વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
- BCI ના નિર્દેશો પછી ગુજરાત બાર કાઉન્સિલે 53,000 વકીલોને ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો
- Jamnagar: ભયાનક અકસ્માત, લગ્ન પહેલાં જ PGVCL કર્મચારી યુવાનનું કરુણ મોત