Rajkot: ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે કાયદાને શરણું લીધું છે. આજે (18 સપ્ટેમ્બર) બપોરે તેમણે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સજા માફીના સરકારના નિર્ણયને રદ્દ કરતા તેમને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કાયદાકીય લડતમાં રાહત ન મળતા તેમણે જેલવાસ ભોગવવાનો માર્ગ પસંદ કર્યો છે.

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ સંડોવણી

અનિરુદ્ધસિંહ જાડેજા માટે હાલની મુશ્કેલીઓ અહીં પૂરતી નથી. રાજકોટના હાઈપ્રોફાઈલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું છે. આ કેસમાં તેમની ધરપકડ થવાની પૂરી શક્યતાઓ છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ, હવે જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેમની કસ્ટડી લઈ શકે છે. એટલે કે, જાડેજા માટે એક કેસમાં સરેન્ડર બાદ બીજા કેસની કાયદાકીય ગાંઠો ખુલી શકે છે.

શું છે આખો મામલો?

ગોંડલમાં 15 ઓગસ્ટ, 1988ના રોજ સ્વાતંત્ર્યદિનના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કચેરા મેદાન ખાતે કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મુખ્ય આરોપી તરીકે દોષિત ઠરાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

વર્ષો બાદ, 1988માં સરકાર દ્વારા તેમની સજા માફ કરવાનો હુકમ કરાયો હતો. પરંતુ આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યો હતો અને તેમને ચાર સપ્તાહની અંદર સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ આદેશ સામે જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી નહોતી અને અંતે સરેન્ડર કરવું ફરજિયાત બન્યું હતું.

સજા માફી અંગે પુનઃવિચારણા શક્ય

અનિરુદ્ધસિંહ જાડેજા ફરીથી જેલમાં પહોંચતા હવે તેમના સજા માફી અંગેની પ્રક્રિયા ફરી શરૂ થવાની શક્યતા છે. જેલના નિયમો અનુસાર, કેદીની સજા દરમિયાનની વર્તણૂંક અને શિસ્તને આધારે જેલ વિભાગ સજા માફી માટેની અરજી પર વિચારણા કરી શકે છે. રાજ્ય સરકારની ભલામણ બાદ જ આ મામલે નિર્ણય લેવાશે. જોકે, આ એક લાંબી કાયદાકીય પ્રક્રિયા છે અને તાત્કાલિક કોઈ રાહત મળવી મુશ્કેલ છે.

રાજકીય અને સામાજિક ગરમાવો

જાડેજાના આત્મસમર્પણથી ગોંડલ અને રાજકોટ પંથકના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા ગરમાઈ ગઈ છે. પોપટ સોરઠિયાની હત્યા ત્યારે ભારે રાજકીય હલચલ સર્જી હતી અને આજે પણ એ કેસ યાદ કરતાં સ્થાનિકોમાં ચકચાર મચી જાય છે. જાડેજાના નામ સાથે સ્થાનિક સમાજના અનેક પ્રભાવશાળી વર્તુળો જોડાયેલા હોવાના કારણે તેમના જેલવાસથી સામાજિક ચર્ચા વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

ભવિષ્યની મુશ્કેલીઓ

એક તરફ પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપવાની ફરજ પડી છે, તો બીજી તરફ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેમની ધરપકડ થવાની સંભાવના છે. એટલે કે, હવે જાડેજાના માટે કાયદાકીય પડકારો વધુ વધી શકે છે. રાજકોટ પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર છે અને જેલમાંથી કસ્ટડી મેળવીને પૂછપરછ શરૂ કરી શકે છે.

હાલની સ્થિતિ

હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં કાયદાકીય પ્રક્રિયા અનુસાર આજીવન કેદની સજા કાપવા માટે દાખલ થઈ ગયા છે. સરકારના જેલ વિભાગ દ્વારા નિયમિત પ્રક્રિયા હાથ ધરાશે. તેમના સરેન્ડર બાદ ગોંડલ પંથકના લોકોમાં ફરી એકવાર આ કેસને લઈને જુની યાદો તાજી થઈ ગઈ છે અને સમગ્ર મામલાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

આ પણ વાંચો