Ahmedabad: નેપાળમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ જેવા મુદ્દાઓ સામે યુવાનોએ શરૂ કરેલા “Gen-Z” આંદોલનને હિંસક સ્વરૂપ મળતાં અનેક પ્રવાસીઓ ફસાયા હતા. તેમાં ગુજરાતના અમદાવાદ અને ભાવનગર જિલ્લાના પ્રવાસીઓ પણ સામેલ હતા. છેલ્લા ચાર દિવસથી નેપાળમાં ફસાયેલા અમદાવાદના 37 પ્રવાસીઓ શુક્રવારે (12 સપ્ટેમ્બર) સુરક્ષિત રીતે વતન પરત ફર્યા. તેમના મિત્રો અને પરિવારજનો દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદથી ગયેલા પ્રવાસીઓ પશુપતિનાથ, મુક્તિધામ, પોખરા સહિતના ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આકૃતિ સોસાયટીમાં રહેતા ત્રણ પરિવારોના સભ્યો પણ તેમાં સામેલ હતા. પ્રવાસ દરમિયાન બીજા દિવસે નેપાળમાં આંદોલન હિંસક બનતા યાત્રીઓ ફસાઈ ગયા હતા. નેટવર્ક સમસ્યાઓ અને વાહનની અછત વચ્ચે તેઓ ચાર દિવસ સુધી ત્યાં અટવાયેલા રહ્યા હતા. આખરે, ભારતીય દૂતાવાસ અને સ્થાનિક પ્રશાસનની મદદથી તેઓ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા. તેઓ અમદાવાદ પહોંચતા જ પરિવારજનો અને સ્થાનિક રહીશો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી પણ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હતા. નારી ગામ, સિહોર, વરતેજ સહિતના ગામોના કુલ 87 પ્રવાસીઓ, રસોઈયા અને પ્રવાસ આયોજકો મળીને પોખરાની એક હોટલમાં અટવાયા હતા. તેમના ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસમાં મોટાભાગે વૃદ્ધો હતાં, જેમને વિસ્ફોટક સ્થિતિથી ભય લાગ્યો હતો. બુધવારે (10 સપ્ટેમ્બર) સવારે નેટવર્ક સમસ્યાના કારણે પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો નહોતો, જેના કારણે ચિંતા વધી ગઈ હતી. પરંતુ બપોર સુધીમાં તેમનો સંપર્ક થયો અને તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું.
ભાવનગર જિલ્લાના રાજકીય નેતાઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ પ્રવાસીઓ સાથે સતત સંપર્ક સાધીને સહાયતા પૂરી પાડી હતી. ટૂંક સમયમાં તેમને ટુરિસ્ટ બસ દ્વારા પોખરાથી બહાર કાઢવામાં આવ્યા અને ઉત્તર પ્રદેશના ગોરખપુર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર રીતે જણાવ્યું કે, રાત સુધીમાં તમામ પ્રવાસીઓ ભારતમાં સુરક્ષિત પહોંચ્યા છે.
આ સમગ્ર ઘટનાએ પ્રવાસ દરમિયાન સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા જગાવી છે. અનેક પરિવારો માટે આ દિવસો ભય અને અનિશ્ચિતતાથી ભરેલા રહ્યા હતા. પણ અંતે તમામ પ્રવાસીઓ સલામત પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. અમદાવાદ અને ભાવનગર બંને શહેરોમાં તેમના સ્વાગત માટે ખાસ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
નેપાળમાં ફાટી નીકળેલી હિંસક પરિસ્થિતિએ પ્રવાસીઓ માટે પડકાર ઉભો કર્યો, પણ ભારતીય પ્રશાસનની ત્વરિત કાર્યવાહી અને સહયોગથી પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા. આ ઘટનાએ પ્રવાસ દરમિયાન જરૂરી સાવચેતી, સંપર્ક સાધવાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશાસનની ભૂમિકા કેટલી અગત્યની છે તે ફરી સાબિત કર્યું છે.
આ પણ વાંચો
- મંત્રી સુરેન્દ્રનગર માં આવતા હોય અને સુરેન્દ્રનગરની વાત જ ન કરે તો એમનું કામ શું?: Vikram Dave AAP
- Rajkot:બેંક જ ના રહી સુરક્ષિત! ઇન્ડિયન બેંકમાંથી ગ્રાહકનું 1 કિલોગ્રામ સોનું ગાયબ, બે અધિકારીઓ સામે કાર્યવાહી
- Surat: કળિયુગની વહુએ સાસુને દરેક દાણા માટે તરસાવી, દીકરાએ પણ તરછોડી; પોલીસની સામે પણ બોલિયા ગાળો
- Ahmedabad: T20 મેચને કારણે 19 ડિસેમ્બરે મધ્યરાત્રિ સુધી દોડશે મેટ્રો ટ્રેનો
- Gujaratના આ સ્ટેશનથી દિલ્હી માટે નવી ક્રિસમસ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત, આ સ્થળોએ સ્ટોપ સાથે દોડશે





