CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો જાયજો મેળવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સૂઇ ગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોત્રા સબ સ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા. *મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી.*
ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી સ્વરૂપજી ઠાકોર, અનિકેત ઠાકર, પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી અને સ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી.
તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી ગુરુવારે સાંજથી જ શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટર્નરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી હતી
સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી.
આ સમિક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલે સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં ૩૪૧૬ ચોરસ કિલોમીટર વિસ્તારના ૨૯૬ જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને સ્થળાંતરની વિગતો આપતા આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૪ તાલુકાઓમાં કુલ ૨૨૮ લોકોનું રેસ્ક્યુ અને ૬૮૦૦થી વધુ અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. એટલું જ નહીં, એન.ડી.આર.એફ.ની ૨ ટીમ અને એસ.ડી.આર.એફની ૩ ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તૈનાત છે.
રાજ્ય સરકાર દ્વારા ૧૫ કિલો ખાદ્ય સામગ્રીની એક એવી ૧૮ હજાર કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ૩ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે.
અસરગ્રસ્ત તાલુકાઓમાં બધા જ સબ સ્ટેશનમાં વીજ પુરવઠો કાર્યરત છે અને ૨૧૩ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે દુરસ્ત કરીને ૧૮૧થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો છે.
પાણી પુરવઠાની વિગતો આપતા જિલ્લા કલેકટર શ્રી મિહીર પટેલે જણાવ્યું હતુ કે, અસરગ્રસ્ત ૪ તાલુકાના ૨૯૫ ગામો પૈકી ૧૬૮ ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે અને બધાજ ગામોમાં પીવાનું પાણી મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડવામાં આવી છે.
અસરગ્રસ્ત ગામોમાં વરસાદના પાણીને કારણે રોગચાળો-બીમારી ન ફેલાય તેની આરોગ્યલક્ષી તકેદારી સાથે ૨૦૭ મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરીને ૭૬૦૦ ઉપરાંત ક્લોરિન ટેબ્લેટ, ૧૦૪૦ જેટલા ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે તેમ જ હાઉસ ટુ હાઉસ આરોગ્યલક્ષી સર્વે કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવા તંત્ર પ્રતિબદ્ધ છે.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પાણીનું ક્લોરીનેશન મૂળ સોર્સથી જ કરાવીને વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સુઈ ગામની તેમની મુલાકાત બાદ મોડી સાંજે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુર ગામોમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને આ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.