Mahisagar: મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલી અજંતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યે બનેલી આ ઘટનામાં પાંચ યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગુમ થયેલા યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા ગાંધીનગરથી NDRFની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી છે. હાલ ડૂબેલા યુવકોને શોધવા માટે અલગ-અલગ ઉપકરણોની મદદથી કામગીરી ચાલી રહી છે.
“અચાનક બ્લાસ્ટ અને પાણીનો ધસમસતો પ્રવાહ”
પ્લાન્ટમાં હાજર રહીને બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે અંદાજે 200 ફૂટ નીચે અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ પ્લાન્ટની અંદર ઘૂસી ગયો હતો. પાણી એટલી ઝડપથી આવ્યું કે કર્મચારીઓને કંઈ સમજવા માટે પણ સમય ન મળ્યો. તે સમયે પ્લાન્ટમાં 15 જેટલા લોકો કાર્યરત હતા, જેમાંથી 10 લોકોએ ભાગી છૂટીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે પાંચ યુવકો પાણીના તોફાની પ્રવાહમાં સપડાઈને ડૂબી ગયા. જેમને તરતા આવડતું હતું અને નજીકમાં કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓ બહાર નીકળી ગયા.
પરિવારજનોમાં રડારોડો
આ દુર્ઘટનામાં ગુમ થયેલા પાંચેય યુવકોના ફોટા સામે આવ્યા છે. તેમના પરિવારજનો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે અને દુઃખમાં આક્રંદ કરી રહ્યા છે. ગોધરાના એક ગુમ યુવકના સગાએ વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારો પુત્ર જીવતો હોય કે મૃત, પણ અમને વહેલી તકે મળી રહે તે અમારી અપીલ છે.”
ગુમ થયેલા કર્મચારીઓના નામ
- શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
- શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
- ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)
- અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)
- નરેશભાઈ (વાયરમેન, રહે. ગોધરા)
3 લાખ ક્યુસેક પાણી છોડાતા 106 ગામોને એલર્ટ
ડેમનું રૂલ લેવલ જાળવવા તેમજ ઉપરવાસમાંથી આવતી આવકને કારણે કડાણા ડેમમાંથી શુક્રવારે સાંજે 6 વાગ્યે મહીસાગર નદીમાં લગભગ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતાં 106 ગામોને પહેલેથી જ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. આ જ સમયે નદીમાં પાણીના વધારા સાથે પાવર પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાતા પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.
આ પણ વાંચો
- Kejriwal: મોદી સરકારે અમેરિકન કપાસ પરની આયાત ડ્યુટી માફ કરીને ખેડૂતો સાથે દગો કર્યો છે- કેજરીવાલ
- Trump: શું ટ્રમ્પ ટેરિફનો અફસોસ કરી રહ્યા છે? ભૂતપૂર્વ રાજદ્વારીએ જણાવ્યું કે તેમને ભૂલ કેવી રીતે સમજાઈ
- Chandra grahan: ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ, મંદિરોના દરવાજા બંધ; હવે નિયમો જાણો
- Putin: મોસ્કો નહીં, કિવમાં મળો’, ઝેલેન્સકીએ પુતિનના પ્રસ્તાવને નકારી કાઢ્યો
- Asia cup 2025: ભારત-પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યો, બંને ટીમોએ એક જ મેદાન પર પ્રેક્ટિસ કરી