Bhuj: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સામે ઘટતી ઘટનાઓ વચ્ચે હવે ભુજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે (28 ઑગસ્ટ) સાંજે છરી વડે હુમલો થતા એક વિદ્યાર્થિનીનું મોત થયું છે જ્યારે સાથે રહેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ બનાવને કારણે સમગ્ર ભુજ શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ઘટના કેવી રીતે બની?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાક્ષી ખાનિયા (ઉંમર 19) રોજની જેમ અભ્યાસ પૂર્ણ કરીને સાંજે હોસ્ટેલ તરફ જઈ રહી હતી. કોલેજના મુખ્ય ગેટ પાસે પહોંચતા જ અંજાર વિસ્તારમાં રહેતા બે યુવકો ત્યાં આવ્યા હતા. સંચાલક અને સાક્ષીઓના જણાવ્યા મુજબ, આ બંને યુવકો વિદ્યાર્થિનીને મળવા આવ્યા હતા અને ત્રણેય વચ્ચે થોડી વાર વાતચીત થઈ હતી.
આ દરમિયાન અચાનક એક યુવકે છરી બહાર કાઢી વિદ્યાર્થિની પર હુમલો કર્યો. એટલું જ નહીં, વિદ્યાર્થિની સાથે રહેલા જયેશ જયંતિજી ઠાકોર (ઉંમર 22) પર પણ વાર કર્યો. હુમલામાં સાક્ષીના ગળાના ભાગે ગંભીર ઇજા થઈ જ્યારે જયેશના પેટ સહિત શરીરના અન્ય ભાગોમાં ઘા વાગ્યા. હુમલા બાદ આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત
ઘટના પછી તરત જ કોલેજ પ્રબંધક અને અન્ય વિદ્યાર્થીઓએ ઇજાગ્રસ્તોને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખસેડ્યા. હોસ્પિટલના તબીબોએ પ્રથમ સારવાર શરૂ કરી, પરંતુ ગળામાં ઊંડો ઘા હોવાના કારણે વિદ્યાર્થિની સાક્ષી ખાનિયાનું મૃત્યુ નિપજ્યું. જયેશ ઠાકોર હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.પોલીસે આરોપી ઝડપ્યો
આ ચોંકાવનારી ઘટનાના થોડા કલાકોમાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. તાત્કાલિક તપાસ શરૂ કરીને પોલીસે ગાંધીધામના રહેવાસી મોહિત સિદ્ધપુરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનો સાચો હેતુ શું હતો અને આરોપીએ વિદ્યાર્થિની તેમજ યુવક પર કેમ હુમલો કર્યો તે બાબતે વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.
કોલેજ સંચાલકનું નિવેદન
સંસ્કાર કોલેજના સંચાલકે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે,“વિદ્યાર્થિની સાંજે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હોસ્ટેલ તરફ જતી હતી. ત્યારે ગેટ પાસે અંજાર બાજુના બે યુવકો આવી પહોંચ્યા હતા. તેઓ વિદ્યાર્થિનીને ઓળખતા હતા અને વચ્ચે વાતચીત થઈ રહી હતી. અચાનક એક યુવકે છરી વડે હુમલો કર્યો અને સ્થળ પરથી ભાગી છૂટ્યો.”
સંચાલકે વધુમાં જણાવ્યું કે, કોલેજ કેમ્પસની અંદર કોઈ વિવાદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ નથી, પરંતુ ગેટની બહાર બનેલી આ ઘટના અત્યંત દુઃખદ છે.
ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા
પોલીસે સ્થળ પરથી પ્રાથમિક તપાસ દરમિયાન કેટલીક બાબતો બહાર પાડી છે. હુમલામાં ઘાયલ થયેલા જયેશ ઠાકોરની બાઈક ત્યાં જ ઉભી હતી. બાઈકના પાછળના ભાગે પોલીસ કલરકોડ સાથેનું રેડિયમ ઈન્ડિકેટર લાગેલું હતું જેમાં “ઠાકોર” લખેલું જોવા મળ્યું હતું. આ પુરાવા આધારે પોલીસે સમગ્ર ઘટનાની દિશામાં તપાસ શરૂ કરી છે કે શું આ હુમલાનો કોઈ વ્યકિતગત વિવાદ હતો કે પછી કોઈ અન્ય કારણ.
શહેરમાં ચકચાર
સાંજે બનેલી આ ઘટનાની ખબર ફેલાતા જ ભુજ શહેરમાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીના પરિચિતો, સહાધ્યાયીઓ અને સામાન્ય લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. કોલેજ પ્રાંગણની બહાર પણ લોકોની ભીડ જોવા મળી હતી. આ ઘટના બાદ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
પોલીસની વધુ તપાસ
ભુજ પોલીસ હાલમાં આરોપી મોહિત સિદ્ધપુરાને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આરોપી વિદ્યાર્થિનીને ઓળખતો હતો અને અગાઉથી જ તેને મળવા માટે પ્રયત્નશીલ હતો. પરંતુ ચોક્કસ કારણ જાણવા પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “વિદ્યાર્થિનીની હત્યા એક ગંભીર ગુનો છે. આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં પોલીસે સાક્ષીઓના નિવેદન લઈને કેસને વધુ મજબૂત બનાવવા પુરાવા એકત્રિત કરી રહી છે.”
આ પણ વાંચો
- ૧૫,૬૮૮ પૂરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરાયા, ૭,૧૪૪ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા: Hardeep Singh Mundian
- Saurabh bhardwaj: ૨૦૨૫ની દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની મિલીભગત દેશના લોકો સમક્ષ સામે આવી છે
- Pakistan: પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર પીઓકેમાં ક્રેશ થયું; બે અધિકારીઓ સહિત પાંચ સૈનિકોના મોત
- World Cup: મહિલા વનડે વર્લ્ડ કપમાં ઈનામી રકમનો નવો ઇતિહાસ, ચાર ગણો વધારો; વિજેતા ટીમને ૩૯.૫૫ કરોડ રૂપિયા મળશે
- Navratri 2025: આ વર્ષે શારદીય નવરાત્રિ 9 નહિ પણ 10 દિવસની : ભક્તોને માતાજીની આરાધનાનો વધારાનો મોકો