Surat: સુરતની સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપતાં આરોપી યુવકને નિર્દોષ જાહેર કર્યો છે અને તેની મુક્તિનો આદેશ કર્યો છે. કોર્ટે બચાવ પક્ષની દલીલ માની લીધી હતી કે ‘ત્રણ વર્ષ સુધી સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નથી ઈનકાર કરવો દુષ્કર્મ ગણાતો નથી.’
જાણો શું છે કેસ
માહિતી મુજબ, સુરતના ડિંડોલીમાં રહેલી બીબીએ અભ્યાસ કરતી યુવતીએ કતારગામમાં એમ.ટેકનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, ‘ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ યુવકે લગ્નની લાલચ આપી મારી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા. બાદમાં તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો.’ આ ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
બચાવ પક્ષની દલીલ
સુરત સેશન્સ કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અશ્વિન જે. જોગડિયાએ દલીલ કરી કે, ‘આરોપીએ ક્યારેય બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા નથી. પ્રેમ સંબંધ તૂટતાં યુવતીએ આ કેસ નોંધાવ્યો છે.’ હાઈકોર્ટના પૂર્વ ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ‘લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ નથી ગણાતો.’ કોર્ટએ આ દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો.
કોર્ટના નિરીક્ષણ
કેસની સુનાવણી દરમિયાન કોર્ટએ જણાવ્યું કે, ‘ફરિયાદી યુવતી શિક્ષિત છે અને પોતાનું સારું-ખરાબ સમજી શકે છે. યુવક અને યુવતી અલગ જાતિના હોવાથી યુવકના પરિવારજનો લગ્ન માટે રાજી ન થયા. છતાં યુવતીએ તેના સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. હોટલ અને રેસ્ટોરન્ટમાં યુવતીએ પોતાની ઓળખ સાથે દાખલ થવાથી સાબિત થાય છે કે સંબંધ સ્વેચ્છાએ હતા, દબાણ વિના.’
યુવતીનો આક્ષેપ હતો કે સંબંધના કારણે તે ગર્ભવતી થઈ હતી, પરંતુ સુનાવણી દરમિયાન ગર્ભપાતનો કોઈ પુરાવો ન મળ્યો. સાથે જ ડીએનએ રિપોર્ટ પણ યુવક અને યુવતીના નમૂનાઓ સાથે મેળ ખાતો નથી.
વકીલની રજૂઆત
યુવતીએ તબીબી તપાસમાં જણાવ્યું હતું કે યુવકે 30-35 વખત સંબંધ બાંધ્યા હતા. આ અંગે બચાવ પક્ષે શંકા વ્યક્ત કરી કે યુવતી નિમ્ફોમેનિયા જેવી માનસિક પરિસ્થિતિથી પીડાતી હોઈ શકે છે. આ મુદ્દે પૂછપરછ દરમિયાન તપાસ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે, ‘કેટલાક કિસ્સાઓમાં મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં વધુ શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા જોવા મળે છે, જે માનસિક સ્થિતિનો એક પ્રકાર છે.’
આ પણ વાંચો
- મોદી સરકારની જે વિદેશ નીતિ છે, તેના કારણે દેશના લોકો ભોગવી રહ્યા છે: Arvind Kejriwal
- સરકારનો ફોકસ સ્પષ્ટ, પ્રજાના કામ સરળ બનાવવું સરકારનો ઉદ્દેશ્ય: CM Bhupendra Patel
- Gujarat માટે ઐતિહાસિક નિર્ણય, UCC બિલ વિધાનસભામાં બહુમતીથી પાસ
- Horoscope: 25 માર્ચે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 કંપનીઓએ ₹16,000 કરોડમાં ખરીદ્યું; RCB રાજસ્થાન રોયલ્સ કરતા વધુ મૂલ્ય પર વેચાયું





