Baroda: એમ.એસ. યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની પસંદગી અંગે ચાલી રહેલી આતુરતાનો હવે અંત આવ્યો છે. યુનિવર્સિટીના અઢારમા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર બી.એમ. ભનાગેની પાંચ વર્ષ માટે નિમણૂક જાહેર થઈ છે.

સરકારની જાહેરાત મુજબ પ્રો. ભનાગે જે દિવસથી ચાર્જ સંભાળશે તે દિવસથી તેમની પાંચ વર્ષની મુદત લાગુ પડશે. આજે બપોરે નામ જાહેર થતા જ શૈક્ષણિક જગતમાં આશ્ચર્ય ફેલાયું હતું કારણ કે તેમનું નામ ચર્ચાસૂચિમાં નહોતું.

પ્રો. ભનાગેએ 1996માં યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી પીએચડી પૂર્ણ કરી હતી અને 2003થી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં સેવા આપી રહ્યા છે. તેમના સંશોધન ક્ષેત્રમાં હોમોજિનિયસ કેટાલિસ્ટ, રિએક્શન કાઈનેટિક્સ અને મિકેનિઝમનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તેઓ ઓથર કે કો-ઓથર તરીકે 35 સંશોધન પેપર પ્રકાશિત કરી ચૂક્યા છે તેમજ 19 જેટલા પેટન્ટ તેમના નામે છે.

હાલ તેઓ ક્યારે ચાર્જ સંભાળશે તે સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ડો. શ્રીવાસ્તવના રાજીનામા બાદ સાત મહિનાથી આ પદ ખાલી પડ્યું હતું. વિલંબને કારણે સરકારની ટીકા થતી હતી, પરંતુ અચાનક નામ જાહેર કરીને સરકારે અટકળોનો અંત લાવ્યો છે.

આ પણ વાંચો