Junagadh: જૂનાગઢના મેંદરડામાં ચાર કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળ અને માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જૂનાગઢમાં 1.97 ઇંચ અને માણાવદરમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

આજે સવારે 6 થી 10 વચ્ચે ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથના તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, સુત્રાપાડામાં 2.8 ઇંચ, ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 16 તાલુકામાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં 5 સિસ્ટમ સક્રિય છે. સવારે 10 થી બપોરે 1 દરમિયાન 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.

  • રેડ એલર્ટ : મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી અને દમણ.
  • ઓરેન્જ એલર્ટ : રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગ.
  • યલો એલર્ટ : કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા.

મધુવંતી નદી ગાંડીતૂર

મેંદરડાના ભારે વરસાદથી મધુવંતી નદીમાં પૂર આવતાં પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. મીઠાપુર અને દાત્રાણા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

જળાશયોમાં પાણીની આવક

સાબલી જળાશયમાં ભારે આવકને કારણે 11 દરવાજા 1.50 મીટર સુધી ખોલાયા છે અને નજીકના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણી ઓવરફ્લો 1.70 મીટર છે. ઓઝત-2 જળાશયના 3 દરવાજા પણ 0.60 મીટર સુધી ખોલાયા છે.

વહીવટીતંત્ર સતર્ક

અગત્યના ભાગરૂપે 35-40 લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે. જૂનાગઢ જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે, કોઝવે કે નદીના પટમાં અવરજવર ન કરે અને જરૂરી સાવચેતી રાખે.

આ પણ વાંચો