Gujarat: આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રકિયા શરૂ થાય તે પૂર્વે રાજ્ય સરકારે આ યોજનાને લગતા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જે આ મુજબ છે.
• ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં માટે ટ્યુશન ફી અનુક્રમે રૂ.૬.૦૦ લાખ, રૂ. ૨.૫૦ લાખ તેમજ રૂ.૧.૦૦ લાખની વાર્ષિક મર્યાદા રાખવામાં આવી છે. જેમાં બદલાવ કરીને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ભારત સરકાર દ્વારા આ અભ્યાસક્રમો માટે નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંતની ટ્યુશન ફી હોય તો તે રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે.
• શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫માં કે તે પૂર્વે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો હોય હોય તેવા તમામ વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.
• એમ્પેનલ ન થઇ હોય તેવા FRC ( ફી રેગ્યુલેશન કમીટી) અને Non FRC અભ્યાસક્રમો કે સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિયત ધારા ધોરણ અનુસાર શિષ્યવૃત્તિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી આવા અભ્યાસક્ર્મો-સંસ્થાઓ માટે નવેસરથી વિચારણા કરવામાં આવશે.
• આ ઉપરાંત NAAC એક્રિડિટેશન મેળવ્યું ના હોય તેવી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની શિષ્યવૃત્તિને પાત્ર રહેશે.
• પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ ૨૦૨૫-૨૬થી સરકારી ક્વોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરીટ યાદીમાં પ્રવેશ મેળવનાર મેરીટોરીયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇપણ આર્થિક ભારણ વગર આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર સ્વમેળે કરી શકે તેવા હેતુથી કાર્યરત આ યોજના હેઠળ દર વર્ષે ૨.૫૦ લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને અંદાજે રૂ.૬૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવે છે.