Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ ડીએનએ મેચિંગ પછી તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. શુક્રવાર સુધીમાં ડીએનએ મેચિંગ દ્વારા 231 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 210 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા. જોકે, 8 લોકોએ તેમના સંબંધીઓના મૃતદેહ મેળવવા માટે ડીએનએ નમૂના આપ્યા હતા. જેમના ડીએનએ કોઈ મૃતક સાથે મેચ થઈ શક્યા નથી, જેના કારણે તેમની મૃતદેહ મેળવવાની રાહ વધુ વધી ગઈ છે. હાલમાં, આ આઠ પરિવારોને કોઈ અન્ય સંબંધીના ડીએનએ નમૂના આપવા માટે કહેવામાં આવ્યું છે, જેથી મૃતકોમાં તેમના સંબંધીઓની ઓળખ થઈ શકે અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહો સોંપી શકાય.

શનિવારે આ અંગે માહિતી આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી મેચિંગ ન થાય ત્યાં સુધી મૃતદેહો સંબંધીઓને સોંપી શકાતા નથી.’ તેમણે કહ્યું ‘જ્યારે લાંબા સમય સુધી ડીએનએ મેચિંગ ન થાય ત્યારે નિયમો મુજબ તમે કોઈપણ અન્ય સંબંધી પાસેથી બીજો નમૂના માંગી શકો છો. જો કોઈ ભાઈ/બહેને નમૂના આપ્યો હોય, તો પીડિતાના ડીએનએ સાથે મેચ કરવા માટે બીજા ભાઈ/બહેન અથવા માતા/પિતા અથવા પુત્ર/પુત્રીના નમૂનાની માંગ કરવામાં આવે છે.’

જોશીએ કહ્યું અમે સામાન્ય રીતે પિતા અથવા પુત્ર/પુત્રીના નમૂનાને પ્રાધાન્ય આપીએ છીએ. જો નહીં તો અમે કોઈપણ અન્ય ઉપલબ્ધ સભ્યનો નમૂના લઈએ છીએ. તેમણે સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયામાં, ભાઈ-બહેનના નમૂના મેચ થયા છે. પરંતુ ઓછામાં ઓછા આઠ પરિવારો એવા છે. જેમનો પહેલો નમૂનો કોઈપણ મૃતદેહના નમૂના સાથે મેચ થયો નથી, તેથી બીજો નમૂનો માંગવામાં આવ્યો છે.