Ahmedabad શહેરમાં એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કડક કરાઈ છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોડ પરના નડતર રૂપ દબાણ હટાવવામાં આવી રહ્યા છે.જેમાં પૂર્વ ઝોનના ભાઈપુરામાં 550 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો, જેમાં રોડ પર આવેલા 40 ઓટલા અને 7 ક્રોસ વોલ દૂર કરાઈ છે. જ્યારે અમરાવાડીમાં એસ્ટેટ વિભાગ દ્વારા 25 કોમર્શિયલ પ્રકારના બાંધકામ તોડી પાડી 12 શેડ, 15 ઓટલા અને 4 ક્રોસ વોલ તોડી દૂર કરાઈ છે.અને આ સાથે જ 500 મી. રોડ ખુલ્લો કરાયો હતો.

ભાઈપુરા વોર્ડમાં આવેલા ઈશ્વરકૃપા ચાર રસ્તાથી રાજેશપાર્ક સોસા. સુધીના 12 મીટરના રોડ પર લાંબા સમયથી બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે રોડ પર વાહનોની અવરજવરમાં ભારે નડતરનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ 40 ઓટલા અને 7 ક્રોસ વોલ હટાવવા માટેની કામગીરી કરાઈ છે. આ કારણે બંને તરફના રોડ પરનો પપ0 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો છે. જેના પરિણામે રાહદારીઓને રાહત મળી રહેશે.

જ્યારે બીજી તરફ અમરાઈવાડીમાં રબારી કોલોની ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા સુધીના રોડ પર 24 મીટરના રોડ પર કોર્મશિયલ એસ્ટેટ દ્વારા વિવિધ પ્રકારનું દબાણ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું હતું. આ માટે કામગીરી કરતાં એસ્ટેટ વિભાગે 25 કોમર્શિયલ, 12 શેડ, 15 ઓટલા અને 4 ક્રોસ વોલ તોડી પાડવામાં આવી છે અને આ સાથે જ 500 મી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

આ ઉપરાંત એસ્ટેટ વિભાગ દ્વારા નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, ભાઈપુરા, વિરાટનગર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં રોડ પરના નડતર રૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. જેમાં 5 શેડ,2 ડમ્પર જપ્ત કરી, 13 લારી, 65 બોર્ડ બેનર, 85 પરચુરણ માલ સામાન, તેમજ 32 વાહનોને લોક મારીને રૂ.20,300 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો..