Gujarat : નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને મનપા કમિશ્નરને લેખિત અરજી આપી છે. જેમાં શહેરના એકમાત્ર ચાર રસ્તા પર નખાયેલા ટ્રાફિક સિગ્નલ વારંવાર ખોટકાતા હોય, તેની જાળવણી થાય તે માટે માંગણી કરી છે.

નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, નડિયાદમાં 7 જાન્યુઆરી, 2024ના રોજ ટ્રાફિક સિગ્નલ નખાયા હતા. 46 લાખના ખર્ચે નખાયેલા આ સિગ્નલ નાખ્યા બાદ થોડા જ સમયમાં ખોટકાઈ જતા સમારકામ કરાયુ હતુ.

તે બાદ વારંવાર આ સમસ્યા સર્જાઈ હતી, આ વખતે પણ ચાર રસ્તા પર હાલ 3 સિગ્નલ ચાલુ હોય અને 1 રસ્તાનું સિગ્નલ બંધ થઈ ગયુ છે. ત્યારે આ વારંવાર સમસ્યા થતી હોય અને હાલ આ સમસ્યાના કારણે વાહનચાલકોને આકરા તાપમાં હાલાકી વેઠવાનો વખત આવ્યો છે.

તેવા સમયે તંત્ર શહેરના આ એકમાત્ર સિગ્નલની દરકાર રાખવામાં નિષ્ફળ હોય, ત્વરીત આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, નડિયાદ શહેરમાં પ્રથવાર જાન્યુઆરી, 2024માં વાણિયાવાડ સર્કલ તોડી નાખી અને આ ચાર રસ્તા પર સિગ્નલ વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જો કે, તે બાદ વારંવાર સિગ્નલની વ્યવસ્થાની જાળવણીમાં તંત્ર પાંગળુ સાબિત થયુ છે.

આ પણ વાંચો…