પંજાબ નેશનલ બેંક (PNB) લોન ફ્રોડના આરોપી Mehul Choksiની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે હીરાના વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિનંતી પર ચોકસીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે. ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના સત્તાવાળાઓને ઔપચારિક પત્ર મોકલ્યો હતો, જેમાં ચોક્સીને તે દેશમાં જોવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી, બેલ્જિયમ પોલીસે 23 મે 2018 અને 15 જૂન 2021 ના રોજ મુંબઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટના આધારે ચોકસીની ધરપકડ કરી હતી.
મેહુલ ચોક્સી પર લગભગ 14,000 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. 65 વર્ષીય મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બરબુડાની નાગરિકતા લીધી છે. ETના અહેવાલ મુજબ, ભારત હવે બેલ્જિયમ પાસેથી ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરશે. ચોક્સીની સાથે નીરવ મોદી પણ ભારતમાં બેંક કૌભાંડનો સહઆરોપી છે. હાલમાં તે લંડનથી પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યો છે. આ બંને જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા.તેના થોડા દિવસો બાદ પંજાબ નેશનલ બેંકમાં મોટું કૌભાંડ ઝડપાયું હતું.
ચોક્સીએ જામીન માંગ્યા હતા
બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીએ ખરાબ તબિયતને ટાંકીને જામીન માંગ્યા છે. ચોક્સીના વકીલનું કહેવું છે કે તેનો અસીલ બીમાર છે. તેથી તેને જામીન પર મુક્ત કરવામાં આવે. વકીલે કહ્યું કે ચોક્સી સારવાર માટે એન્ટિગુઆ અને બાર્બુડાથી બેલ્જિયમ આવ્યો હતો અને તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો. અહીં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ભારતીય એજન્સી CBI અને EDએ બેલ્જિયમની કોર્ટમાં ચોક્સીના જામીન રોકવા અને તેના પ્રત્યાર્પણની તૈયારી શરૂ કરી દીધી છે. એજન્સીઓ ચોકસીને ભારત પરત લાવવા અને તેના પર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે. ચોક્સીની નાગરિકતા, તબીબી સ્થિતિ અને કાયદાકીય પ્રક્રિયાને કારણે આ સરળ નહીં હોય.
કોણ છે મેહુલ ચોક્સી?
મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય બિઝનેસમેન અને ગીતાંજલિ ગ્રુપનો માલિક છે. ગીતાંજલિ ગ્રુપ ભારતમાં લગભગ 4,000 સ્ટોર્સ ધરાવતી જ્વેલરી ફર્મ છે. ચોકસીએ 2018માં ભારતથી ભાગી ગયા બાદ એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી છે. ચોક્સી તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક (PNB)માં રૂ. 14,000 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. ભારતીય તપાસ એજન્સીઓ આ કેસમાં ચોકસીને શોધી રહી છે.