ફરી એકવાર ગુજરાતમાં સ્માર્ટની મીટર નાખવાનું શરૂ થયું છે પરંતુ ગઈ વખતની જેમ લોકોના મનમાં શંકા અને ડર છે કે સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે. જેના કારણે આજે આમ આદમી પાર્ટી(AAP)એ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી(AAP)એ કલેક્ટર સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે. ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે.

સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે, જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે, સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે. વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી, ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે, જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટુંકમાં કહીએ તો સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે.

GUVNL હેઠળ આવતી વીજકંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી, ઉલ્ટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે તો પણ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ જે સાદા મીટર હતા, જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા અને બધું સુવ્યવસ્થિત ચાલે છે. તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ. અમે ગુજરાતની જનતા વતી અપીલ કરીએ છીએ.