સુરતમાં એક પીએસઆઈએ સગીરને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પીએસઆઈ સગીરના વાળ પકડીને તેને મારતા જોવા મળે છે.

વડાપ્રધાનના કાફલાના રૂટ પર પોલીસ રિહર્સલ દરમિયાન સગીર સાયકલ લઈને પ્રવેશ્યો હતો. તે દરમિયાન  પીએસઆઈ બી.એ.ગઢવીએ સગીરને પરત મોકલવાની બદલે જાણે કોઈ અન્ય ઘટનાનો રોષ ઠાલવતા હોય તેમ સગીરને વાળ પકડી બેરહેમીથી માર માર્યો હતો.  આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, ઉપરી અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.

આ ઘટનાને લઈ  PSIની બદલી પણ કરી દેવાઈ છે. PSIને કંટ્રોલરૂમની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસની કાર્યવાહી પર લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતમાં તાજેતરમાં બનેલી પીએસઆઈની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ ઘટનાને લઈને સામાજિક કાર્યકરોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પોતાની વાત પહોંચાડી છે.

આ ઘટના બાદ સામાજિક કાર્યકરોએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ડીજીપીનો પણ સમાવેશ થાય છે, તેમને ઈમેલ દ્વારા રજૂઆત કરી ચિંતા વ્યક્ત કરી છે. સામાજિક કાર્યકરોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે અને પોલીસ વિભાગને સમાજમાં જાગૃતિ લાવવા માટે વધુ પ્રયત્નો કરવાની અપીલ કરી છે. આ ઘટનાને કારણે સમાજમાં પોલીસની છબી ખરડાઈ છે, જેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, આજે સુરતમાં વડાપ્રધાન મોદી આવી પહોંચ્યા છે, તે પહેલા રીહર્સલ દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો…