દિલ્હી-Ahmedabad ટ્રેન રૂટ પર મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ સંપર્ક ક્રાંતિ અને હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેનો નવા ટાઈમ ટેબલ પ્રમાણે દોડશે.

અમદાવાદ ડિવિઝનના રેલવે પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે રેલવે પ્રશાસને હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી ટ્રેન નંબર 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20946 હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસના ઓપરેટિંગ દિવસોમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

ટ્રેન નંબર 12918 હઝરત નિઝામુદ્દીન – અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હાલમાં દર શનિવારે હઝરત નિઝામુદ્દીનથી દોડે છે. 15 એપ્રિલથી આ ટ્રેન દર મંગળવારે હઝરત નિઝામુદ્દીનથી દોડશે.

ટ્રેન નંબર 20946 હઝરત નિઝામુદ્દીન – એકતા નગર એક્સપ્રેસ હાલમાં હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવાર અને ગુરુવારે ચાલે છે. 19 એપ્રિલથી આ ટ્રેન દર ગુરુવાર અને શનિવારે હઝરત નિઝામુદ્દીનથી દોડશે. જોકે આ ટ્રેનોના સ્ટોપેજ, આગમન અને ઉપડવાનો સમય, રૂટ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.