આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેનને ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યાં કોઈ પ્લાન્ટેશન પણ નથી, ત્યાં કવિતાબેન ફક્ત પોતાની ગાયો ચરાવતા હતા. વધારે ઇજા હોવાના કારણે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા. 24 કલાક થઈ ગયા અને પોલીસ તંત્ર હજુ પણ ઊંઘમાં છે તેના કારણે આજે અમારે આવવું પડે છે. શું પોલીસ તંત્ર આ બહેનની મરી જવાની રાહ જોઈને બેઠું છે?

અમારા આવ્યા બાદ હવે ગુનો દાખલ થઈ રહ્યો છે. અમારી માંગણી છે કે જો 24 કલાકમાં ગુનેગારોને પકડવામાં નહીં આવે તો આ ગુરુવારે અમે તમામ આદિવાસી સમાજના લોકો ભેગા થઈને જંગલ ખાતાની ઓફિસે જવાના છીએ. બીટગાર્ડના હાથે બનેલો આ ત્રીજો બનાવો છે. આદિવાસી સમાજના લોકો એક છે કે કેમ તે જાણવા માટે આ લોકો આ રીતની હરકતો કરી રહ્યા છે. ગુરુવારે અમે અમારી એકતાનો નમુનો બતાવીશું. પોલીસે કહ્યું કે સરકારી અધિકારી છે માટે એફઆઇઆરમાં વાર લાગે છે, અમારો સવાલ છે કે સરકારી અધિકારીને આ રીતે કોઈ મહિલાને ઢોર મારવાનો અધિકાર કોણે આપ્યો છે? જો આ બેને કોઈ ભૂલ કરી હોય તો આ બેન પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ રીતે ઢોર માર શા માટે માર્યો? વિસ્તાર અમારો, વસ્તી અમારી અને બહારના લોકો આવીને અમારી માતા બહેન દીકરીઓ પર આ રીતનો અત્યાચાર કઈ રીતે કરી શકે? અમે આ અત્યાચાર સહન કરીશું નહીં.

સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે પરંતુ આજે સરકારના અધિકારી દ્વારા ઉપલા અધિકારીની સુચનાથી એક મહિલાને ઢોર માર મારે છે, આ બહેન દવાખાનામાં એડમિટ છે અને તેમની સ્થિતિ દયનીય છે, તેમ છતાં પણ પોલીસ ખાતું ફરિયાદ લેતું નથી. અમારે દુઃખ સાથે કહેવું પડે છે ઉચ્ચ અધિકારીઓના વહાલા દવલાની નીતિના કારણે આજે અમારા આદિવાસી લોકો પીસાઈ રહ્યા છે. અમે ફક્ત 24 કલાક આપીએ છીએ, જો 24 કલાકમાં કાર્યવાહી ન કરવામાં આવી તો અમે હજારોની સંખ્યામાં ફોરેસ્ટ ખાતાની ઓફિસે ભેગા થઈશું.