ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે પરંપરાને અનુસરીને તેમના અનુગામીના નામની ભલામણ કરી છે. CJI ચંદ્રચુડે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. તેમણે જસ્ટિસ ખન્નાના નામનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દીધો છે. CJI ચંદ્રચુડ 10 નવેમ્બર, 2024 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જો સરકાર CJIની ભલામણને સ્વીકારે છે તો જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ બનશે. CJI તરીકે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે.

જસ્ટિસ સંજીવ ખન્નાએ વકીલ તરીકે તેમની કાયદાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1983માં દિલ્હી બાર કાઉન્સિલના સભ્ય બન્યા. તેણે તીસ હજારી સંકુલની જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારબાદ તેણે દિલ્હી હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ જસ્ટિસ ખન્નાની પ્રોફાઇલ મુજબ, તેમણે બંધારણીય કાયદો, પ્રત્યક્ષ કરવેરા, આર્બિટ્રેશન, વ્યાપારી કાયદો, કંપની કાયદો, જમીન કાયદો, પર્યાવરણીય કાયદો અને તબીબી બેદરકારી જેવા ઘણા ક્ષેત્રોમાં કેસ લડ્યા હતા.

તેમણે લાંબા સમય સુધી આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે કામ કર્યું. 2004 માં, તેઓ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત થયા હતા. તેઓ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને એમિકસ ક્યુરી તરીકે દિલ્હી હાઈકોર્ટમાં ઘણા ફોજદારી કેસોમાં હાજર થયા હતા અને દલીલો કરી હતી. 2005માં તેમને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. 2006માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમણે દિલ્હી ન્યાયિક એકેડેમી, દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ આર્બિટ્રેશન સેન્ટર્સના અધ્યક્ષ/જજ-ઈન્ચાર્જનું પદ સંભાળ્યું હતું.

જસ્ટિસ ખન્નાને 18 જાન્યુઆરી, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. તેમણે 17 જૂન 2023 થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું હતું. તેઓ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ છે અને રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી, ભોપાલના ગવર્નિંગ કાઉન્સેલના સભ્ય છે.