Ahmedabad News: કેન્સર અને હોસપિસ સેવાઓ માટે સામાજિક જાગૃતિ વધારવા તથા દર્દીઓ અને તેમના પરિવારજનોને યોગ્ય મદદ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનો તથા વિશ્વ હોસપિસ અને પેલિએટિવ કેર દિવસ નિમિત્તે જનજાગૃતિના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિનાની ઉજવણી અંતર્ગત GCRIએ ‘કોઈએ સ્તન કેન્સરનો સામનો એકલા કરવો જોઇએ નહીં’ થીમ સાથે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં 70થી વધુ કેન્સર દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફે ભાગ લીધો હતો.

મેડિકલ ઓફિસર ડૉ. રોહિણી પટેલે આ પ્રસંગે બ્રેસ્ટ કેન્સર અંગે પ્રિવેન્શન, સમયસર નિદાન, સાર્વજનિક સ્વાસ્થ્યની અસરકારક રીતે તપાસ માટેના ઉકેલો અને સારવાર વિકલ્પો સહિતની મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન બ્રેસ્ટ કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત અને આશાવાદ દર્શાવતી ટૂંકી પ્રેરણાદાયક ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

‘સંકલ્પના દસ વર્ષ બાદ: આપણે કેટલું આગળ વધ્યા?’ થીમ સાથે વિશ્વ હોસપિસ અને પેલિએટિવ કેર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસપિસ અને પેલિએટીવ કેર ક્ષેત્રે દસ વર્ષમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ પ્રકાશિત કરવામાં આવી હતી. હોસપિસ અને પેલિએટિવ કેર સેવાઓ, દર્દીના જીવનની ગુણવત્તા સુધારણા, અને દર્દીઓ તથા તેમના પરિવારજનોને આપવામાં આવતા સહકાર પર જાગૃતતા વધારવાના ઉદ્દેશ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સેમિનારો, પ્રવચનો, અને માર્ગદર્શન સત્રો સાથે ઉજવણી કરવામાં હતી, જેમાં હોસપિસ સેવાઓ અને પેલિએટીવ કેરની ટેક્નોલોજી અને નવી પ્રણાલિઓના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એસોસિયેટ પ્રોફેસર ડૉ.ભાવના પટેલે વિશ્વ હોસપિસ અને પેલિએટિવ કેર દિવસની મહત્તા અંગે ટૂંકી માહિતી આપીને પેલિએટિવ કેરનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, આ એવી આરોગ્ય સેવાઓ છે, જે ગંભીર બીમારીઓમાં દર્દીઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરામ આપવા કરવા માટે કાર્ય કરે છે.

GCRIના નિયામક ડૉ. શશાંક પંડ્યા અને નાયબ નિયામક તથા પેલિયેટિવ મેડિસીન વિભાગના પ્રોફેસર તથા હેડ ડૉ. પ્રીતિ સંઘવી દ્વારા સમાપન પ્રવચનમાં બ્રેસ્ટ કેન્સરની ગંભીરતા અને વધતાં કેસોની માહિતી રજૂ કરવામાં આવી હતી તેમજ જાગૃતિ અને સહકારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, વિશ્વ હોસપિસ અને પેલિએટિવ કેર દિવસ એ એક મહત્ત્વપૂર્ણ અવસર છે, જ્યારે આપણે અંતિમ ચરણમાંના દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને શાંતિ અને સમર્થન પ્રદાન કરવા માટેના પ્રયત્નોને ઉજાગર કરીએ છીએ.