CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે.

મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિજયાદશમી પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો આ અવસર માનવ કલ્યાણનો બની રહે તેવી રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી