Jamnagar: લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં શનિવારે મોડી સાંજે બે ખેડૂત તણાયા હતાં. જે પૈકી એક ખેડૂત પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા ખેડૂત યુવાનની શોધખોળ ચાલુ રખાઈ હતી. આ બનાવને લઈને મોટા ખડબા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Jamnagar: એક ખેડૂતનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ, ઘેરો શોક

આબનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કામ કરતા છોટુભા મનુભા જાડેજા (ઉ.વ.૫૫) તેમજ તેના પાડોશી લાલુભા મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૨૭) કે જેઓ બંને ખેતી કામ પૂર્ણ કરીને પોતાના ઘેર પગપાળા પરત ફરી રહ્યા હતા અને લાલપુરની સસોઇ નદી ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન એકાએક નદીનો ધસમસતો પ્રવાહ પસાર કરવા જતાં બંને તણાયા હતાં.

જે બનાવની જાણ થતાં અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન કાલાવડ અને જામનગર ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે કેટલાક તરવૈયાઓ પણ તેઓને શોધવા માટે મદદમાં જોડાયા હતાં. દરમિયાન છોટુભા જાડેજાનો મૃતદેહ હાથ લાગ્યો હતો જ્યારે લાલુભા જાડેજા નદીના પાણીમાં લાપતા બન્યા હોવાથી તેઓની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા શોધખોળ ચાલુ રખાઈ હતી.